અક્ષરધામ હુમલામાં સામેલ મોહમંદ ફારૂકની અટકાયત

684

ગુજરાત સહિત દેશભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા ૨૦૦૨ના અક્ષરધામ આતંકી હુમલા કેસના આંતકવાદી આરોપી મોહમ્મદ ફારૂક શેખની શહેર ક્રાઇમબ્રાંચે આજે ચોક્કસ ઇનપુટ્‌સના આધારે અમદાવાદ એરપોર્ટ પાસેથી જ ધરપકડ કરી લીધી હતી. આંતકવાદી મોહમ્મદ ફારૂક શેખ અક્ષરધામમાં હુમલો કર્યા બાદ ફરાર થઇ ગયો હતો અને તે છેલ્લા ૧૬ વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસ તપાસમાં બહાર આવેલી પ્રાથમિક વિગતો મુજબ, આંતકવાદી મોહમંદ ફારૂક શેખ પાછલા ૧૬ વર્ષથી દુબઈમાં રહેતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ફારૂક શેખ અમદાવામાં તેના સંબંધીઓને મળવા માટે સાઉદી અરેબીયાથી આવ્યો હતો અને તેના અહીં આવવા અંગેના ચોક્કસ ઇનપુટ્‌સના આધારે શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ આંતકવાદી મોહમ્મદ ફારૂખ શેખને અમદાવાદ એરપોર્ટ પાસેથી જ ધરદબોચી લીધો હતો. ક્રાઇમબ્રાંચ દ્વારા આંતકવાદી મોહમંદ શેખની ઝીણવટભરી પૂછપરછ અને તપાસના ચક્રો ગતિમાન કરાયા છે, જેમાં આગામી દિવસોમાં ચોંકાવનારી માહિતી સામે આવે તેવી પણ શકયતા સેવાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સુપ્રસિધ્ધ અક્ષરધામ મંદિર ખાતે ગત તા.૨૪ સપ્ટેમ્બર,૨૦૦૨ના દિવસે આતંકવાદી હુમલો થયો હતો. લગભગ ૧૬ વર્ષ બાદ આ આતંકી હુમલાનો એક આતંકવાદી ક્રાઇમબ્રાંચના હાથે લાગ્યો છે. આ હુમલામાં ૩૩ લોકોના મોત અને ૮૫થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું હતું. અક્ષરધામ કેસમાં ક્રાઇમબ્રાંચે આદમ અજમેરી સહિત છ આરોપીઓની પોટા હેઠળ ધરપકડ કરી હતી. કેસમાં ચાર્જશીટ બાદ કેસ ચાલી જતાં કોર્ટે ત્રણ આરોપીઓને ફાંસી અને બંને આજીવન કેદ અને બેને પાંચ વર્ષની સજા ફટકારી હતી. આદમ અજમેરીનો પંદર વર્ષથી નાસતો ફરતો આરોપી ભાઇ અબ્દુલ રશીદ હજુ ગયા વર્ષે જ એરપોર્ટ પરથી પકડાઇ ગયો હતો. અક્ષરધામ હુમલાને લઇ ગુજરાત સહિત દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

Previous articleબોર્ડ પરીક્ષાર્થી માટે ડિસેમ્બરના અંત સુધીમાં ટોલ ફ્રી હેલ્પલાઇન
Next articleકરોડોની ઠગાઈ કરનાર વિનય શાહની આખરે ધરપકડ કરાઈ