ભાજપા મહિલા અધિવેશનથી રેશમા પટેલની બાદબાકી થઇ

800

તાજેતરમાં પાટીદાર સમાજની માંગણીઓને અમલમાં મુકવાને લઈ ભાજપના નેતા રેશ્મા પટેલ પક્ષ સામે જ બળવો કરી મક્કમતાથી પોતાની સાચી વાત સમાજ અને મીડિયા સમક્ષ રજૂ કરી રહ્યા છે, જેને લઇ ભાજપમાં આંતરિકત નારાજગી પ્રવર્તી હતી અને હવે રેશમા પટેલને આ વાતને લઇ ભાજપ દ્વારા અવગણવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા રેશમા પટેલની ધરાર ઉપેક્ષા કરી અડાલજ ત્રિમંદિર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય મહિલા અધિવેશનમાંથી તેમની બાદબાકી કરાઇ છે. આજથી શરૂ થયેલા ભાજપ મહિલા અધિવેશનમાં રેશ્મા પટેલને આમંત્રણ અપાયુ નથી. ભાજપ કારોબારીમાં હાજરી આપી ચૂકેલા રેશ્માની મહિલા અધિવેશનમાં બાદબાકી સૂચવે છે કે, પક્ષ સામે જ બંડ પોકારવાના પરીણામની શરૂઆત થઈ ગઈ છે. જો કે રેશ્મા પટેલ દ્વારા ભાજપ દ્વારા આ પ્રકારના વર્તનની સહેજપણ પરવા કર્યા વિના બિન્દાસ્ત રીતે જણાવાયું હતું કે, ટોચના નેતાઓની ત્રુટીઓના કારણે ભાજપમાં યોગ્ય ન્યાય મળતો નથી. રેશ્માએ આગળ કહ્યું કે, મારી ઓળખ સમાજ અને લોકોએ આપી છે. ભાજપ થકી નથી, જેથી ભાજપ મને કાઢી મુકે તો પણ કોઈ ફેર પડતો નથી. હું સમાજ અને પ્રજાના કાર્યો માટે આ જ રીતે લડતી રહીશ, કારણ કે હું પ્રજા માટે રાજનીતિમાં આવેલી છું. મહિલા સંમેલનમાં આમંત્રણ ન મળવા અંગે રેશ્માએ સ્પષ્ટતા કરી કે, એવું લાગે છે કે મારાથી ભાજપને કોઈ તકલીફ છે. મહિલા સશક્તિકરણની વાતો કરનારા ભાજપને ચૂંટણી સમયે જ કેમ મહિલાઓ યાદ આવે છે? મને આમંત્રણ નહીં મળવા અંગે હું કોઈ રજૂઆત કરીશ નહીં.

Previous article૪૦૦ કરોડનાં ફિશરીઝ કૌભાંડમાં ભાજપનાં આ બે દિગ્ગજ નેતાઓને હાઈકોર્ટનું તેડું
Next articleઇન્ડિગો સીવેઝએ પીએમઓને રો-પેક્સ ફેરીની સર્વિસ બંધ કરવાનું અલ્ટિમેટમ આપ્યું