સાબરકાંઠા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ

491

સાબરકાંઠા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક જિલ્લા પ્રભારી અને પાણી પુરવઠા મંત્રી  પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, હિંમતનગર ખાતે મળી હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૧૮-૨૦૧૯ના જિલ્લાકક્ષા તથા તાલુકાકક્ષાએ આદિજાતિઓના સર્વાગી વિકાસના કામોની પ્રાથમિકતા આપવામાં આવી હતી.   જિલ્લા પ્રભારી મંત્રીએ જિલ્લાના વિકાસના કામો ઝડપભેર પૂર્ણ કરવા અને વિકાસની ગતિને તેજ બનાવવા અધિકારીઓને અપીલ કરી હતી. અને જિલ્લાની શાળાઓના ઓરડા, પીવાના પાણી અને વિજળીકરણની બાકી કામગીરીને ઝડપથી પુરા કરવા વહિવટીતંત્રના અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતું. આ વર્ષ ૨૦૧૮-૧૯ના સાબરકાંઠા જિલ્લાના ૩ આદિજાતિ   તાલુકાઓ અને ઇડર પોકૅટ વિસ્તારના આદિજાતિઓના વિકાસ માટે રૂ. ૧૫૬૭.૨૬ લાખના ૮૮૦ વિકાસના કામો પૈકી વિજયનગર તાલુકાના ૨૨૧ કામો માટે રૂ. ૪૦૬.૭૬ લાખ, ખેડબ્રહ્માના ૨૯૧ કામો માટે રૂ. ૪૭૬.૯૩ લાખ, પોશીનાના ૩૧૮ કામો માટે રૂ. ૬૨૫.૩૬ અને ઇડર તાલુકાના  પોકૅટ વિસ્તારના ૩૫ કામો માટે રૂ. ૪૩.૪૬ લાખની જોગવાઇ કરવામાં આવી છે. જયારે છુટાછવાયા આદિજાતિ વિસ્તારના ૧૫ કામો માટે રૂ. ૧૪.૭૪ લાખ ખર્ચવામાં આવશે જેમાં ખેડબ્રહ્માના ૫૮૮૫ લાભાર્થીઓ, પોશીનાના ૭૭૪૦, વિજયનગર તાલુકાના ૩૮૫૫ તેમજ અન્ય ૫૨ મળી કુલ ૧૭૫૩૨ લાભાર્થીઓને લાભાન્વિત કરાશે.

ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિનભાઇ કોટવાલ, પૂર્વ ધારાસભ્ય  રમીલાબેન બારા સહિત તાલુકા પંચાયતના પ્રમુખઓ, તથા અગ્રણી પદાધિકારીઓ, સાબરકાંઠા કલેકટર પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી સ્તુતિ ચારણ, સહિત પ્રાંત અધિકારી મોદી, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના વિકાસ માટે સરકાર સમક્ષ રજૂઆત
Next articleશંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાવાની તૈયારીમાં, ૨૯મીએ થશે જાહેરાત!