HSRP નંબરપ્લેટ માટેની મુદ્દત ૨૮ ફેબ્રુઆરી સુધી લંબાવાઇ

915

ગુજરાતમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાડવાની મુદ્દત ૨૮ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. અગાઉ સરકાર દ્વારા એચએસઆરપી નંબર પ્લેટ લગાડવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. પરંતુ હજુ ૧.૨૦ કરોડ વાહનોમાં નંબર લગાવવાની બાકી છે. સરકારે જાહેરાત કરી છે કે, હવે આગામી ૨૮મી ફેબ્રુઆરી સુધી તેની સમય મર્યાદા વધારવામાં આવી છે. જોકે, આ લગભગ છઠ્ઠી વખત છે કે સરકારને એચએસઆરપી નંબર પ્લેટ અંગેની સમય મર્યાદા વધારવી પડી છે. સમગ્ર દેશમાં વાહન રજિસ્ટ્રેશન પ્લેટ એક સરખી રહે તે માટે એચએસઆરપી નંબર પ્લેટ ફરજીયાત કરવામાં આવી રહી છે. જોકે, આરટીઓ દ્વારા હજુ સુધી આ કામગીરી પૂરી કરાઇ નથી. ૨.૪૩ કરોડ વાહનોમાંથી ૧.૨૫ કરોડ વાહનોમાં હજુ સુધી એચએસઆરપી નંબર પ્લેટ લગાવવામાં આવી નથી. આ પરિસ્થિતિને જોતાં ફરીથી મુદ્દત લંબાવવામાં આવી છે. આરટીઓ કચેરીમાં ઓનલાઇન એપોઇમેન્ટ મેળવ્યા બાદ ટુ વ્હીલરમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાડવાનો ચાર્જ રૂ. ૧૪૦ અને થ્રી વ્હીલરનો ચાર્જ રૂ.૧૮૦ છે. તેમજ ફોર વ્હીલરના ૪૦૦ તથા હેવી વ્હીલરના ૪૨૦ ચાર્જ વસૂલવામાં આવે છે. જ્યારે અધિકૃત ડિલરો એચએસઆરપી નંબર પ્લેટ લગાડવાની ફી ટુ વ્હીલર- ટ્રેકટરના ટેક્ષ સાથે રુ. ૨૪૫ અને થ્રી વ્હીલરના રુ. ૨૮૫ તથા ફોર વ્હીલરના રૂ. ૫૭૭ તેમજ હેવી વ્હીલરના રુ. ૫૯૭ વસૂલે છે.

Previous articleરાજ્ય સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૨ ટકા વધ્યું, ૮ મહિનાનું એરિયર્સ રોકડું મળશે
Next articleસ્વાઈન ફ્લુ : વધુ છ દર્દીઓ પોઝિટિવ, તંત્રમાં દોડધામ