સરકારની શપથવિધિની તડામાર તૈયારીઓ : ગુજરાતનો નાથ કોણ ?

766
guj20-12-2017-4.jpg

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૭માં ફરી એકવાર સત્તા જાળવી રાખવામાં સફળ થયેલી ભાજપ દ્વારા હવે પરિણામો બાદ નવી સરકારની રચના અને શપથવિધિ સમારોહની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ વખતની ચૂંટણીમાં સાત સીટીંગ પ્રધાનો હાર્યા હોઇ પ્રધાનમંડળમાં નવા ચહેરાઓને તક મળે તેવી પૂરી શકયતા છે. તો બીજીબાજુ, ભાજપ સરકારમાં આ વખતે મુખ્યમંત્રીનો ચહેરો વિજયભાઇ રૂપાણીના નામ સાથે રિપીટ કરાય છે કે, નવા કોઇ ચહેરા પર પસંદગી ઉતારાય છે તે મુદ્દો પણ અત્યારે સૌથી મોટી ચર્ચામાં છે.  આ વખતે ભાજપનો શપથવિધિ સમારોહ સરદાર પટેલ સ્ટેડિયમ, સાબરમતી રિવરફ્રન્ટ અને ગાંધીનગર મહાત્મા મંદિર સહિતના ત્રણ સ્થળમાંથી કોઇ એક પર યોજાય તેવી શકયતા છે. 
શપથવિધિ સમારોહ ત્રણ સ્થળોમાંથી કયાં યોજી શકાય તેમ છે અને તેના અનુસંધાનમાં ટ્રાફિક, વીવીઆઇપી મહાનુભાવોની આવનજાવનની સરળતા, પાર્કિગ, સુરક્ષા સહિતના ફેકટરને ધ્યાનમાં રાખી રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંઘે આજે અમદાવાદ જિલ્લા કલેકટર અવન્તિકાસિંઘ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે સરદાર પટેલ સ્ટેડિયમ, સાબરમતી રિવરફ્રન્ટ અને ગાંધીનગર મહાત્મા મંદિરની મુલાકાત લઇ તમામ શકયતાઓ ચકાસી હતી અને શપથવિધિ સમારોહ યોજવા સંબંધી તમામ પાસા ધ્યાનમાં લીધા હતા. નવી સરકારનો શપથવિધિ સમારોહ આમ તો, તા.૨૫મી ડિસેમ્બરે યોજાય તેવી શકયતાઓ સેવાઇ રહી છે પરંતુ મુખ્ય સચિવ જે.એન.સિંઘના મતે, જો તંત્ર અને સરકારની સૂચના નિર્દેશાનુસાર તે વહેલો એકાદ બે દિવસમાં પણ યોજાઇ શકે છે. ભાજપ દ્વારા નવી સરકારની રચના અને પ્રધાનમંડળમાં કયા કયા પ્રધાનોને સમાવવા તે સહિતની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. સૌથી મહત્વનું કામ ભાજપ માટે આ વખતે મુખ્યમંત્રી પદની નિયુકિતનું છે. જે પ્રકારે ભાજપનો નબળો દેખાવ આ વખતની ચૂંટણીમાં
 રહ્યો તે જોતાં વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે રિપીટ કરાય છે કે તેમના બદલે નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના નેતાઓમાંથી કોઇની પર પસંદગીનો કળશ ઢોળાય છે તેની પર સૌની નજર કેન્દ્રિત થયેલી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપના સાત સીંટીગ પ્રધાનો હારી ગયા છે, જેમાં શંકર ચૌધરી, આત્મારામ પરમાર, ચીમન સાપરિયા, કેશાજી ચૌહાણ, શબ્દશરણ તડવી, જશા બારડ અને વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાનો સમાવેશ થાય છે, તેથી આ વખતે પ્રધાનમંડળમાં નવા ચહેરાઓને પણ સ્થાન મળશે. નવા પ્રધાનમંડળમાં કેબીનેટ કક્ષામાં જેમનું સ્થાન નિશ્ચિત મનાઇ રહ્યું છે તેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ, કૌશિક પટેલ, જયેશ રાદડિયા, ગણપત વસાવા, પ્રદીપસિંહ જાડેજા, પરસોત્તમ સોલંકી, દિલીપ ઠાકોર, બાબુ બોખીરીયાનો સમાવેશ થાય છે, જયારે રાજયકક્ષાના પ્રધાનમંડળમાં પરબત પટેલ, પંકજ દેસાઇ, ઇશ્વરસિંહ પટેલ, જેઠા ભરવાડ, જયદ્રથસિંહ પરમાર, કેતન ઇનામદાર, કિશોર કાનાણી, ગોવિંદ પટેલ, વિભાવરીબહેન દવે, વાસણ આહીર, સૌરભ પટેલ સહિતના ધારાસભ્યોનો સમાવેશ થાય છે.  ભાજપની નવી સરકાર અને મુખ્યમંત્રી-પ્રધાનમંડળના શપથવિધિ સમારોહમાં ગુજરાતથી ભાજપના નેતા અને આગેવાનો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા સહિતની ભાજપ શાસિત દેશના અન્ય રાજયોની સરકારમાંથી પણ દિગ્ગજ રાષ્ટ્રીય નેતા અને મહાનુભાવોને આમંત્રિત કરાશે. 

Previous article જનતાનો ચુકાદો શીરોમાન્ય : હીરાભાઈ
Next article નેશલન કાઇટ ફલાઇંગ સ્પર્ધાની ફાઇનલ અમદાવાદમાં યોજાશે