રાજ્યમાં ભીષણ ગરમી : તાપમાન  ૪૫

597

અમદાવાદ સહિત ગુજરાતમાં પણ ભીષણ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. આજે અમદાવાદમાં પારો ૪૪.૨ સુધી પહોંચી ગયો હતો જ્યારે સુરેન્દ્રનગરમાં તો રેકોર્ડ ૪૫થી પણ ઉપર પારો પહોચી ગયો હતો જેના લીધે લોકો ભારે પરેશાન દેખાયા હતા. આકાશમાંથી આગ વરસાવતી ગરમીના કારણે જનજીવન ઉપર માઠી અસર થઇ હતી. આજે રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૪થી ઉપર રહ્યો હતો જેમાં અમદાવાદમાં ૪૪.૨, ગાંધીનગરમાં ૪૪.૫, રાજકોટમાં ૪૪.૫, અન્ય વિસ્તારોમાં પણ પારો ૪૪થી ઉપર પહોંચ્યો હતો. બીજી બાજુ આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાની કોઇ શક્યતા દેખાઈ રહી નથી. આગામી ૪૮ કલાક દરમિયાન મહત્તમ તાપમાન અકબંધ રહી શકે છે. આવતીકાલે રવિવારના દિવસે પણ પારો ૪૪થી ઉપર રહેશે પરંતુ આવતીકાલે રજા હોવાના કારણે લોકોને આંશિક રાહત રહેશે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં હિટવેવની સ્થિતિ વચ્ચે બિનજરૂરીરીતે બહાર નિકળવાનું ટાળવું જોઇએ. હવામાન વિભાગે કહ્યું છે કે, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં જોરદાર હિટવેવની સ્થિતિ રહી શકે છે. આના કારણે નવજાત શિશુ અને મોટી વયના લોકોને અસર થઇ શકે છે. સાથે સાથે ક્રોનિક રોગ ધરાવતા લોકો માટે પણ ભીષણ ગરમી અને લૂની સ્થિતિ પરેશાની વધારી શકે છે. બપોરના ગાળામાં તીવ્ર ગરમીથી લોકો ભારે પરેશાન દેખાયા હતા. હાલમાં ગરમીનો પ્રકોપ અકબંધ રહે તેવી શક્યતા છે.  દક્ષિણ રાજસ્થાન ઉપર સક્રિય અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિના પરિણામ સ્વરુપે વિશેષ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. આવતીકાલે મહત્તમ તાપમાન અમદાવાદમાં ૪૨ રહી શકે છે. રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ આજે સુરેન્દ્રનગરમાં થયો હતો. જ્યાં પારો ૪૫.૩ સુધી પહોંચ્યો હતો. આજે અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં ગરમીના કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું હતું. બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બની ગયા હતા.  વધતી જતી ગરમી વચ્ચે કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર જોરદાર ગરમીનુ મોજુ ફરી વળ્યું છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન પારો અકબંધ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એલર્ટની જાહેરાત પણ ગરમીના કારણે સાવચેતીના પગલારુપે કરવામાં આવી છે.

Previous articleકસ્ટડીમાં આરોપીને મારવાના કેસમાં આઠ સામે ફરિયાદ થઇ
Next articleવિદ્યાર્થીઓને કારકીર્દી અંગે જરૂરી માર્ગદર્શન મળી શકશે