ગુજરાતમાં પણ ભીષણ ગરમીથી લોકો પરેશાન : પારો ૪૫થી ઉપર

547

અમદાવાદ સહિત રાજ્યમાં ભીષણ ગરમી અકબંધ રહી છે. આજે  રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૫થી ઉપર પહોંચી જતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. આજે ડીસામાં ૪૫.૧ અને સુરેન્દ્રનગરમાં પારો ૪૫.૩ સુધી પહોંચી ગયો હતો. જનજીવન પણ ભીષણ ગરમીના કારણે ખોરવાઈ ગયું હતું. બપોરના ગાળામાં રસ્તા સુમસામ દેખાયા હતા. રાજ્યના જે ભાગોમાં પારો ૪૪થી ઉપર રહ્યો હતો તેમાં અમદાવાદમાં ૪૪.૨, ગાંધીનગરમાં ૪૪.૮, કંડલા એરપોર્ટ ખાતે ૪૪.૨ અને રાજકોટમાં ૪૪.૨ સુધી તાપમાન પહોંચી ગયું હતું. બીજી બાજુ અગામી બે દિવસ સુધી કોઈ પણ પ્રકારની રાહત મળવાની શક્યતા દેખાઈ રહી નથી. હીટવેવની ચેતવણી પણ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગો માટે જારી કરવામાં આવી છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં ભીષણ ગરમી પડવાની સંકેત દેખાઈ રહ્યા છે. પારો હજુ પણ ઉપર જઈ શકે છે. અમદાવાદમાં પણ યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ચેતાવણીના પરિણામ સ્વરૂપે લોકો બપોરના ગાળાના બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લુ લાગવાના બનાવ પણ વધી રહ્યા છે. આજે લોકો સાવચેતીના પગલારુપે બપોરના ગાળામાં બહાર નિકળ્યા ન હતા જેથી બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બની ગયા હતા.  કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં જોરદાર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આના કારણે નવજાત શિશુ અને મોટી વયના લોકોને અસર થઇ શકે છે. સાથે સાથે ક્રોનિક રોગ ધરાવતા લોકો માટે પણ ભીષણ ગરમી અને લૂની સ્થિતિ પરેશાની વધારી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે શ્વાસની તકલીફ, બેભાન થઇ જવાના બનાવોમાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે.

બપોરના ગાળામાં લોકોની હાલત સૌથી વધારે કફોડી બની છે. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો ઉપર બપોરના ગાળામાં રોકાવવાના લીધે પણ કેટલાક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી વયના લોકોને સૌથી વધુ અસર આની અનુભવાઈ છે. આજે અમદાવાદમાં પારો ૪૪.૨ રહ્યો હતો. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગર, અમરેલી, અન્ય અનેક વિસ્તારોમાં પારો ૪૩થી પણ ઉપર રહેતા લોકો મુશ્કેલીમાં દેખાયા હતા.

અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં તીવ્ર ગરમીથી લોકો ભારે પરેશાન દેખાયા હતા. હાલમાં ગરમીનો પ્રકોપ અકબંધ રહે તેવી શક્યતા છે. કેટલાક લોકોએ કહ્યું હતું કે, બપોરના ગાળામાં પારો ૪૫ સુધી પહોંચી ગયો હતો. જોકે હવામાન તરફથી કોઈ વાત કરવામાં આવી નથી. અલબત એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

Previous articleપાક વીમા પ્રશ્ને કિસાન સંઘ-ખેડૂતોના ઉપવાસ જારી રહ્યા
Next articleમેઘાણીનગર : બુટલેગરોનો આંતક, બાળકીની હત્યા થઈ