મચ્છરો ઉત્પન્ન કરતી કન્ટ્રક્શન સાઇટ્‌સ પર એએમસીનો સપાટો

539

મેગાસિટી અમદાવાદમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ પણ દોડતુ થયુ છે. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં તંત્રની જુદી જુદી ટીમો દ્વારા મચ્છરોના બ્રીડીંગ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. જ્યાં જરૂર પડ્યે બાંધકામ સાઇટ અને અન્ય જગ્યાઓના માલિકોને દંડ ફટકારી સાઇટ સીલ પણ કરવામાં આવી રહી છે.

તંત્રની અનેક કામગીરી બાદ પણ શહેમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. ત્યારે હવે એએમસીનું હેલ્થ અને મેલેરિયા વિભાગ સક્રીય થયુ છે. જ્યાં વિવિધ ઝોનની ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં બાંધકામો સાઇટ, શૈક્ષણિક સંકુલો, સરકારી ઇમારતોમાં મચ્છરોના બ્રીડીંગ અંગે તપાસ કરાઇ રહી છે. નોંધનીય છે કે, જ્યાં પાણી ભરાઇ રહેતુ હોય તેવા સ્થળે મચ્છરો પોતાના ઇંડા મૂકે છે અને તે બાદ તેમાંથી લારવા અને વયસ્ક મચ્છરો પેદા થાય છે. જે મેલેરિયા, ચીકનગુનિયા અને ડેંન્ગ્યુ જેવા રોગ ફેલાવવા જવાબદાર હોય છે. જેથી તંત્ર દ્વારા આવા લારવાનો નાશ કરવા માટેની જુદી-જુદી પ્રક્રિયા હાથ ધરાતી હોય છે તેવું એએમસીના ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.અરવિંદ પટેલે જણાવ્યું. તો આ તરફ પશ્ચિમ ઝોનની ટીમ દ્વારા સીજી રોડ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જ્યાં સમ્યક-૪૯ નામની બાંધકામ સ્કીમમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં મચ્છરોનું બ્રીડીંગ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જેના કારણે હેલ્થ વિભાગે આખી સાઇટને સીલ કરી દીધી છે.

Previous articleસુરત : શિતલ ડાયમંડ કંપનીએ ૪૦ જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેતાં હોબાળો
Next articleલવાડ ગામના આંતરિક માર્ગો બિસ્મારઃ ગ્રામજનો પરેશાન