ગાંધીનગરના સંસ્કૃતિકુંજમાં આગામી ૨૪ ફેબ્રુ.થી પંદર દિવસ વસંતોત્સવનો પ્રારંભ

905
gandhi1522018-1.jpg

વસંત પંચમીનું આગમન એટલે ઋતુ પરિવર્તનનો અહેસાસ ઋતુઓના આ પરિવર્તનને ઉત્સવમાં પરિવર્તિત કરવા રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ હમેંશા અગ્રેસર ભુમિકા ભજવે છે. પાનખરને વિદાય આપી ગ્રીષ્મની વધામણી કરવા વસંત મહોત્સવ શિરમોર રાષ્ટ્રીય કાર્યક્રમ છે. દેશના ભિન્ન ભિન્ન રાજયોની લોકકલા અને સંસ્કૃતિનું ગુજરાતને કલા કસબનું આદાન પ્રદાન કરાવનાર આ ભાતિગળ કાર્યક્રમનું ભરચક કલા રસિકોની હાજરીમાં મંથન કરવામાં આવે છે.  છેલ્લા ૨૨ વર્ષથી યોજાતા વસંતોત્સવ ગાંધીનગર માટે અમુલ્ય નજરાણું છે. આગામી તા.૨૪ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ સુધી કમિશનર કચેરી, રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ વિભાગ અને વેસ્ટઝોન કલ્ચરલ સેન્ટર ઉદેપુરના સંયુકત ઉપક્રમે સંસ્કૃતિકુંજ ગાંધીનગરના પ્રાકૃતિક સૌંદર્યથી સભર એવા આબડખુબડ કોતરોની મધ્યમાં વસંતોત્સવ, તુરી બારોટ કલાકારોની શિબિર અને આદિજાતી મહોત્સવ રંગેચંગે ઉજવાય છે. અંદાજે ૫૦૦ જેટલા કલાકારો દ્વારા આ મહોત્સવનું નિદર્શન થાય છે. આ વસંતોત્સવમાં દેશના જુદા જુદા રાજ્યોમાથી ખ્યાતી પ્રાપ્ત ૧૮ જેટલા કલાવૃંદોને નિમંત્રયા છે. જેમાં રાજસ્થાનનું કાલબેલિયા અને ભપંગ વાદન, મહારાષ્ટ્રનું ધનગરી ગજા અને લેજીમ, ગોવાનું દેખણી, પંજાબનું ભાંગડા, ગિદ્દા ઉતરપ્રદેશનું ડેડિયા નૃત્ય, નાગપુરનું બરેડી અને આદિવાસી નૃત્ય, આસામનું બીહુ, પુંગ ઢોલ, ચિલમ, કલકતાનું ગોટીપુઆ, પુરૂલિયા મુખ્યત્વે છે.  આ ઉપરાંત આદિજાતિ કલાવૃંદોમાં રોજેરોજ બનાસકાંઠાનું જગજવેરા નૃત્ય, છોટા ઉદેપુરનું રાઠવા નૃત્ય, નર્મદાનું આદિજાતી લગ્ન નૃત્ય ડાંગનું કહાડિયા નૃત્ય, દાહોદ તાપીનું આદિજાતી નૃત્ય તથા ભરૂચ જિલ્લાનું સિદ્દી ધમાલ નૃત્યનું રસપાન કરવામાં આવશે. 
ગુજરાતનો છેલછબિલો છડીદાર, રઢિયાળા તુરી બારોટ સમાજની વાત પણ નિરાલી છે. લુપ્ત થતી આ લોક ભોગ્ય કલાને જિવંત રાખવા દર વર્ષે આ કલાકારોની લોક ગયકી, લોક સાહિત્ય, લોક સંગીતની ઝાંખી કરાવવામાં આવે છે. કચ્છી ઘોડી, મેવડો લોક નૃત્ય, ભવાઇ, વેરાડી ઝુલણા, સળગતો ગરબો, હાથીનો વેશ, રાવણ હથ્થો, ઢોલ, મહિસાસુરનો વધ અને સનેડો મુખ્યત્વે છે.  આ મહોત્સવની સાથે દેશની પ્રસિદ્ધ હસ્તકલાની જણસોનું બજાર અને હસ્તકલાની હાટડીયો મંડાય છે. હેન્ડીક્રાફટની કૃતિઓ તથા માહિતી અને પ્રવાસન ખાતા દ્વારા પ્રદર્શન યોજી સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવાય છે. પોલીસ ખાતું, આરોગ્ય ખાતું સતત લોકોના આરોગ્યને જાનમાલની કાળજી સેવે છે. એક સાથે આ ત્રણે કલાઓનું મંથન એક જ સ્ટેજ પરથી કરી સાંસ્કૃતિક ચેતનવંતી બનશે. 

Previous articleમહા શિવરાત્રીના પાવન પર્વને અનોખી રીતે મનાવ્યું
Next articleરાજુલા ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે શિવજીની શોભાયાત્રા