પીએમ નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુધીમાં દેશના દરેક પરિવારને ઘર પૂરું પાડવાની પોતાની મહત્વકાંક્ષી યોજના આડેની બધી અડચણો દૂર કરવાનો આદેશ અધિકારીઓને આપ્યો છે. પોતાના બીજા કાર્યકાળમાં પહેલી પ્રગતિ મીટિંગમાં પીએમ મોદીએ ફરી એકવખત બધાને મકાન આપવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો. તેમણે સ્કીમને લાગુ કરવાના રસ્તામાં આવનારી બધી અડચણોને દૂર કરવાનો પણ આદેશ આપ્યો. તે સાથે જ તેમણે હાલની ચોમાસાની સીઝનમાં જળ સંરક્ષણના ઉપાયો ઝડપી કરવાનો પણ આદેશ આપ્યો.
પીએમ મોદીએ પોતાના પાછલા કાર્યકાળથી જ પ્રો-એક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઈમ્પિલમેન્ટેશન એટલે કે પ્રગતિ મીટિંગોની પરંપરા શરુ કરી છે. ગત ૫ વર્ષોમાં તેમણે ૨૯ પ્રગતિ મીટિંગમાં ૧૨ કરોડ રુપિયાની ૨૫૭ પરિયોજનાઓની સમીક્ષા કરી છે. પીએમઓ મુજબ, આ મીટિંગ દરમિયાન નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત અને સુગમ ભારત અભિયાન જેવી મુખ્ય યોજનાઓની પ્રગતિની પણ સમીક્ષા કરી. વડાપ્રધાને નાણાકીય સેવાઓના વિભાગ સાથે સંલગ્ન ફરિયાદોના સમાધાનની પણ સમીક્ષા કરી. મોદીએ આયુષ્યમાન ભારતની કાર્યપ્રણાલીની પણ વિસ્તારથી સમીક્ષા કરી. વડાપ્રધાને જણાવ્યું કે, લગભગ ૩૫ લાખ લાભાન્વિત હોસ્પિટલમાં સારવારની સુવિધાનો લાભ લઈ ચૂક્યા છે અને અત્યાર સુધી ૧૬,૦૦૦ હોસ્પિટલ આ યોજના સાથે જોડાઈ ચૂકી છે. વડાપ્રધાને એ રાજ્યોને વાતચીત કરવા આહવાહન કર્યું, જે યોજનામાં સર્વશ્રેષ્ઠ કાર્યપ્રણાલી અને સુધારમાં મદદ કરી શકે છે. તેમણે કહ્યું કે, આકાંક્ષાપૂર્ણ જિલ્લામાં યોજનાના લાભો અને સકારાત્મક પ્રભાવ વિશે એક સ્ટડી થવો જોઈએ.



















