જમ્મુ કાશ્મીર પુનઃરચના બિલ લોકસભામાં પાસ

428

લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનઃરચના બિલ આજે જોરદારરીતે પાસ કરી દેવામાં આવ્યું હતું. ઉગ્ર અને લાંબી ચર્ચા ચાલ્યા બાદ આ બિલ ઉપર મોડી સાંજે મતદાન થયું હતું. બિલની તરફેણમાં ૩૬૭ અને બિલના વિરોધમાં ૬૭ મત પડ્યા હતા. આની સાથે જ ઐતિહાસિક જમ્મુ કાશ્મીર ફેરરચના બિલ લોકસભામાંથી પણ પસાર કરી દેવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન જોરદાર ચર્ચા અને ડિબેટનો દોર ચાલ્યો હતો જેમાં કોંગ્રેસ, એનસીપી, સપા, બસપા સહિતના તમામ પક્ષોએ પોતપોતાની ઉગ્ર રજૂઆતો કરી હતી. પોતાના વાંધાઓ સૂચન પણ રજૂ કર્યા હતા. લોકસભામાં જમ્મુ કાશ્મીર ફેરરચના બિલ ઉપર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સહિતના નેતાઓ તરફથી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. લાંબી ચર્ચા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચર્ચાનો જવાબ આપ્યો હતો. અમિત શાહ દ્વારા લાંબા સમય સુધી ચાલેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો જેમાં અમિત શાહે જમ્મુ કાશ્મીરને લઇને તમામ બાબતોને સ્પષ્ટરીતે રજૂ કરી હતી. સાથે સાથે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા. જમ્મુ કાશ્મીરના સર્વાંગી વિકાસની વાત કરી હતી. જમ્મુ કાશ્મીર દેશના અખંડ ભાગ હોવાની વાત કરી હતી. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, કલમ ૩૭૦ના કારણે દેશ જોડાઈ જવાને બદલે દેશના સંપર્ક તુટી રહ્યા હતા. કલમ ૩૭૦થી અનેક પ્રકારના નુકસાન થઇ રહ્યા હતા. આખરે કલમ ૩૭૦ની પ્રથા દૂર થઇ છે. અમિત શાહે એનસીપીના નેતા સુપ્રિયા સુલે દ્વારા કરવામાં આવેલા નિવેદનની વચ્ચે જવાબમાં કહ્યું હતું કે, ફારુક અબ્દુલ્લાની ધરપકડ કરવામાં આવી નથી. તેમને નજરકેદમાં પણ રાખવામાં આવ્યા નથી. ફારુક અબ્દુલ્લા પોતાની ઇચ્છાથી ઘરમાં રોકાયા છે. તેમના ઉપર કોઇ બંદૂક મુકવામાં આવી નથી. ત્યારબાદ સુલેએ કહ્યું હતું કે, ફારુક અબ્દુલ્લા બિમાર છે જેથી તેઓ આવ્યા નથી. આના ઉપર અમિત શાહે કહ્યું હતું કે, આને લઇને તેઓ કઇ કરી શકે નહીં. કારણ કે તેઓ તબીબ નથી. ટીવી ચેનલો ઉપર ફારુક અબ્દુલ્લા દ્વારા પોતાને નજરકેદમાં રાખવામાં આવ્યા છે તેવા વલણ બાદ કોંગ્રેસના નેતા શશી થરુર દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ગૃહમંત્રીએ ફરી એકવાર કહ્યું હતું કે, તેઓ ત્રણ વખત કહી ચુક્યા છે કે, ફારુક અબ્દુલ્લા કોઇ કસ્ટડીમાં નથી. કોઇ નજરકેદમાં પણ નથી. પોતાની ઇચ્છાથી ઘરે છે. તેમની તબિયત પણ સારી છે. મોજમસ્તીમાં છે. માહિતી મેળવી શકાય છે. અમે તેમને બંદૂકની અણીએ સંસદમાં લાવવાની સ્થિતિમાં ન હતા. ત્યારબાદ ફારુક અબ્દુલ્લાનો મુદ્દો ઉઠાવાયો ત્યારે અમિત શાહે ચોથી વખત ફારુક અબ્દુલ્લાને લઇને ખુલાસો કર્યો હતો.

ગૃહમંત્રાલય તરફથી પણ આ સંદર્ભમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી. કાશ્મીરખીણમાં સોમવારના દિવસે અનેક નેતાઓને નજરકેદમાં પકડી લેવામાં આવ્યા હતા. કલમ ૩૭૦ પર લોકસભામાં ઉગ્ર ચર્ચા ચાલી હતી. આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર ચાલ્યો હતો. જમ્મુ કાશ્મીરની વાત સ્પષ્ટપણે કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ગાળામાં ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ સાંસદ મનિષ તિવારીએ જમ્મુ કાશ્મીરની વર્તમાન સ્થિતિ ઉપર સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અનુપ્રિયા પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ફેરરચના બિલના સમર્થનમાં અનુપ્રિયાએ વાત કરી હતી. શિરોમણી અકાળીદળના સાંદ સુખબિરબાદલે પણ બિલની તરફેણ કરી હતી. કોંગ્રેસના સાંસદ શશી થરુરે બિલની સામે વાંધો ઉઠાવ્યો હતો. નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પર પ્રહાર કરતા લડાખમાંથી ભાજપના સાંસદે કહ્યું હતું કે, લોકો ચૂંટણીમાં હિસ્સો લેવા ઇચ્છતા નથી પરંતુ જ્યારે પોતાની ખુરશીની વાત આવે છે ત્યારે સૌથી આગળ આવે છે. અગાઉ કેન્દ્ર સરકારે જ્મ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ને નાબુદ કર્યા બાદ આજે લોકસભામાં જમ્મુ કાશ્મીર ફેરરચના બિલ રજૂ કરવામા ંઆવ્યુ હતુ. આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા બાદ તેના પર ઉગ્ર ચર્ચા શરૂ કરવામાં આવી હતી. સવારે ચર્ચા શરૂ થયા બાદ મોડી સાંજ સુધી ચર્ચા ચાલી હતી. જમ્મુના સાંસદ જુગલ કિશોર શર્માએ કહ્યુહતુ કે કલમ ૩૭૦ કલંક સમાન હતી. ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નહેરુએ તે અમારા પર લાદી દીધી હતી. બીજી બાજુ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે આ મુદ્દા પર વિરોધ પક્ષોના વાંધાઓના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે કાશ્મીર માટે અમે જાન પણ આપી શકીએ છીએ. લોકસભામાં કોંગ્રેસના અધીર રંજન અને અમિત શાહ વચ્ચે જોરદાર દલીલબાજી થઇ હતી. અત્રે નોંધનીય છે કે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરની ફેરરચના અંગેનું બિલ પાસ થઇ ગયા બાદ કલમ ૩૭૦ ઉપર ચર્ચા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં અમિત શાહને અભિનંદન કરતા નજરે પડ્યા હતા. અમિત શાહની કામગીરીથી મોદી ભારે ખુશખુશાલ દેખાયા હતા. આ ગાળા દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ બંનેની નજર કેન્દ્રીત રહી હતી. રાજ્યસભાના કર્મચારીઓ પણ આ ગાળા દરમિયાન પાછળ વળીને અમિત શાહ અને મોદીને જોતા નજરે પડ્યા હતા. બીજી બાજુ સામાન્ય વર્ગના ગરીબોને ૧૦ ટકા અનામત આપનાર બિલ પણ રજૂ કરવામાં આવ્યું હતું. બંને બિલને રાજ્યસભાની મંજુરી મળી ગઈ છે. હ અમિત શાહ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લદ્દાખના લોકોની ઘણાં સમયથી માંગણી હતી કે લદ્દાખને અલગ કરવામાં આવે. લોકસભામાં પણ જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા પોત  પોતાની રજૂઆત કરવામાં આવી હતી. ડીએમકે નેતા બાલુએ બિલને લઇને વિરોધ કર્યો હતો. જુગલે જોરદાર રજૂઆત કરીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

અમે ગ્રેનેડબાજ કે પત્થરબાજ નથી, ૩૭૦ને લઈને કોર્ટમાં જઈશુ : ફારૂક અબ્દુલ્લા

આર્ટિકલ ૩૭૦ને જમ્મૂ-કાશ્મીરમાંથી હટાવવાનાં નિર્ણયથી નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા ભડકી ઉઠ્યા હતા. તેમણે કહ્યુ છેકે, આર્ટિકલ ૩૭૦ પર મોદી સરકારમાં નિર્ણયની સામે અમે કોર્ટમાં જઈશું. અમે પથ્થરબાજ કે ગ્રેનેડ ફેંકવાવાળા નથી. તેઓ અમારી હત્યા કરવા માંગે છે. અમે શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ. અને અમે લોકો શાંતિથી અમારી લડાઈ લડીશું. ફારૂક અબ્દુલ્લાએ પોતાનાં ઘરેથી પત્રકારોનાં સવાલોનાં જવાબ આપ્યા હતા. ફારૂક અબ્દુલ્લાએ એવું પણ કહ્યુ હતુકે, મારો પુત્ર ઉમર અબ્દુલ્લા બહુજ પીડામાં છે. તેમણે ગૃમંત્રી અમિત શાહ પર પણ પ્રહારો કર્યા હતા.

લોકસભામાં વિપક્ષનો હોબાળો, બિલ વિરુદ્ધ ટીએમસી સાંસદોનું વોક આઉટ

ટીએમસી સાંસદોએ કહ્યું કે, આ વિભાજન પછી આતંકવાદી ઘટનાઓમાં વધારો થઈ શકે છે. કારણકે હાલની સ્થિતિ અનિશ્ચતતાથી ભરેલી છે. સરકારે જણાવવું જોઈએ કે આવી સ્થિતિ ઉભી થાય ત્યારે શું પગલાં લેવા જોઈએ. સુદીપે કહ્યું, ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓની ધરપકડ કરવામાં આવી છે. અમને આ વિશે માહિતી કેમ આપવામાં આવી નથી. જો અમે આ બિલ પર વોટિંગનો હિસ્સો બનીશું તો અમે પણ તેના જવાબદાર બનીશું. તેથી અમે આ બિલ વિરુદ્ધ વોક આઉટ કરીએ છીએ.

Previous articleદિલ્હીમાં આત્મઘાતી હુમલા થવાનો ભય : સુરક્ષા મજબૂત
Next articleસીબીએસઈ ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર