બજારલક્ષી જાહેરાતોની અપેક્ષા વચ્ચે તેજી રહેવાના સ્પષ્ટ સંકેતો

409

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં દલાલસ્ટ્રીટની દિશા નક્કી કરવામાં એફપીઆઈ સંબંધિત સમાચારો, ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા અને અન્ય પરિબળો ભૂમિકા અદા કરે તેવી શક્યતા છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, સરકાર દ્વારા માર્કેટલક્ષી કેટલાક પગલા જાહેર કરવામાં આવશે જેથી બજારમાં તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. મૂડીરોકાણકારોએ હાલમાં જારી કરવામાં આવેલા આર્થિક આંકડાઓ અને કોર્પોરેટ કમાણીના પરિણામોને લઇને સાવચેતી રાખી રહ્યા છે. નાણામંત્રાલયના અધિકારીઓના કહેવા મુજબ શેરબજારમાં હાલ તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે,સરકાર દ્વારા અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે વિવિધ પગલા જાહેર કરવામાં આવી શકે છે. શુક્રવારના દિવસે શેરબજારમાં કલાકોની પૂર્ણાહૂતિ બાદ એફપીઆઈની સમસ્યાઓને લઇને  નાણામંત્રાલયના અધિકારીઓએ ધ્યાન આપ્યું હતું. ત્યારબાદથી બજારમાં ઉત્સુકતા રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. આવતીકાલે શેરબજારમાં બકરી ઇદના દિવસે રજા રહેશે જ્યારે ગુરુવારના દિવસે સ્વતંત્રતા દિવસની પણ રજા રહેશે. આવતીકાલથી શરૂ થતાં નવા સત્રમાં આઈઆઈપીના આંકડા, એફપીઆઈ સંબંધિત જાહેરાતો, ફુગાવાના ડેટા, કમાણીના આંકડા અને ચીની ડેટા તેમજ ટ્રેડવોરને લઇને મુદ્દાઓ છવાયેલા રહેશે. આઈઆઈપીના આંકડા ખુબ મહત્વપૂર્ણ બનેલા છે. ફેક્ટ્રી ઉત્પાદનના આંકડા અથવા તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા દ્વારા જારી કરવામાં આવ્યા બાદ આની ચર્ચા છે. સીઆઈઆઈના સભ્યો નાણામંત્રી સીતારામનને મળી ચુક્યા છે. તેમનો એવો અભિપ્રાય છે કે, જુદા જુદા સેક્ટરોના પ્રતિનિધિઓ તરફથી કરાયેલી રજૂઆતને સરકારે ધ્યાનમાં લીધી છે. બીજી બાજુ એફપીઆઈ સંબંધિત ઘટનાક્રમની અસર રહેશે જેમાં સુપરરિચ સરચાર્જને પરત ખેંચવા, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની નાબૂદી અને અન્ય કેટલાક મુદ્દાઓ ઉપર કારોબારીઓ આશા રાખી રહ્યા છે. આ મામલા પર વધુ ઘટનાક્રમને લઇને કારોબારી આશાવાદી બનેલા છે. ફુગાવાના ડેટા પણ મિશ્ર પ્રતિસાદ આપી શકે છે. જુલાઈ મહિના માટે સીપીઆઈ ફુગાવાના આંકડા ૩.૩૫ ટકા સુધી રહી શકે છે જે જૂન મહિનામાં ૩.૧૮ ટકા હતા. બીજી બાજુ ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો જુલાઈ મહિનામાં ૨.૦૨ ટકા રહ્યો હતો. સીપીઆઈ ફુગાવાના આંકડા આવતીકાલે સોમવારના દિવસે જારી કરાશે જ્યારે ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા બુધવારના દિવસે જારી કરવામાં આવનાર છે. કંપનીઓ દ્વારા ત્રિમાસિક કમાણીના અંતિમ આંકડા જારી કરવામાં આવનાર છે. આવતીકાલે આઈએફસીઆઈ, ટીટીકેના આંકડા જારી થશે જ્યારે મંગળવારના દિવસે સનફાર્મા, ગોદરેજ ઇન્ડસ્ટ્રી, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આંકડા જારી થશે. બુધવારના દિવસે આઈડીબીઆઈ બેંક, જિંદાલ સ્ટીલ, આઈજીએલના આંકડા જારી થશે. અમેરિકા અને ચીન વચ્ચે ટેન્શનને લઇને કારોબારી ચિંતાતુર છે. અલબત્ત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચુક્યા છે કે, બેજિંગ સાથે વેપાર સમજૂતિને આખરી ઓપ આપવા માટે વાતચીત માટે તેઓ તૈયાર છે.

Previous article૧૬ ઑગસ્ટે ટીમ ઇન્ડિયાના કૉચ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ થશે
Next articleFDI દ્વારા ઓગસ્ટમાં કુલ ૯૧૯૭ કરોડ ખેંચી લેવાયા