ગેંગસ્ટર મુકેશ હરજાણી મર્ડર કેસમાં સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા

396

વડોદરા શહેરના હરણી રોડ પર આવેલી વૃંદાવન ટાઉનશીપ પાસે ૨૦ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણીની શાર્પ શૂટરોએ ૯ રાઉન્ડ ગોળીબાર કરી હત્યા કરી નાખી હતી. જેલમાંથી છુટેલો કુખ્યાત મુકેશ હરજાણી રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં હરણી રોડ પર વૃંદાવન ટાઉનશીપમાં રહેતા તેના મિત્ર પપ્પુ શર્માને મળવા આવ્યો હતો. તે મળીને પરત કારમાં બેસવા જતો હતો ત્યારે જ ધસી આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેને આંતર્યો હતો. મુકેશ અને તેનો મિત્ર પપ્પુ શર્મા કંઇ સમજે તે પહેલા જ અજાણ્યા શખ્સોએ પોતાની પાસેના હથિયારમાંથી ઉપરાછાપરી ૯ રાઉન્ડ ગોળીબાર કરતા અંધાધૂધી મચી ગઇ હતી. ગોળીબારમાં ૮ જેટલી ગોળીઓ મુકેશના શરીરમાં ઘૂસી ગઇ હતી. એક મિસ ફાયર થયું હતું. જેને પગલે મુકેશ હરજાણી લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.

એક ગોળી મુકેશ હરજાણીની ડાબી આંખ બહાર નિકળી ગઇ હતી. તો બે ગોળી તેના હ્રદયની નીચેના ભાગે વાગી હોવાનું જાણવા મળ્યુ છે. આ ઉપરાંત પીઠના ભાગે પણ બે ગોળી વાગી હતી. મુકેશને તાબડતોબ કારમાં મેટ્રો હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ કેસમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ વડોદરા સેસન્સ કોર્ટના જજ એચ.આઇ. ભટ્ટની કોર્ટમાં કેસ ચાલી જતા આજે કલ્પેશ ઉર્ફે કાછીયો અંબાલાલ પટેલ, સંજય ઉર્ફે આરડીએક્સ, અનિલ ઉર્ફે એન્થોની, વિજુ સિંધી સહિત તમામ ૧૧ આરોપીઓને છોડી મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Previous articleકડક ટ્રાફિક નિયમોથી બચવા યુવાને તમામ દસ્તાવેજો હેલ્મેટ પર લગાવ્યા
Next articleઅસામાજિક તત્વોનો આતંક…ધો-૧૨ના વિદ્યાર્થીની હત્યા કરતા ખળભળાટ