ઘરકંકાસથી ગુસ્સે ભરાયેલા પતિએ પત્ની-દીકરાને કેનાલમાં ફેંક્યાં પત્નિનું મોત

413

વ્યક્તિના મગજમાં ક્રૂરતા સવાર થાય તો તે બધા જ ભાન ભૂલી જઈને તમામ હદો પાર કરી દે છે. આવો જ એક કિસ્સો છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં સામે આવ્યો છે જેમાં પતિએ પોતાની પત્ની અને દીકરાને નર્મદા કૅનાલમાં ધકેલી દઈને મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ કમકમાટીભર્યો બનાવ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઝાંખરપુરા નજીક બન્યો છે.પત્નીને પિયર લઇ જવાનું કહીને પતિએ પત્ની અને દોઢ વર્ષના દીકરાને બાઇક પર લઈ ગયો હતો. રસ્તામાં કૅનાલ બ્રિજ બાઇક ઊભું રાખીને પત્ની અને દીકરાને ધક્કો મારીને કૅનાલમાં ધકેલી દીધા હતા. મૃત પરિણીતાનો મૃતદેહ વાઘોડિયાના સરણેજ ગામેથી મળી આવ્યો હતો, જ્યારે બાળકની શોધખોળ હજી ચાલુ છે. બીજી તરફ, પોલીસે કાર્યવાહી કરતાં હત્યારા પતિની ધરપકડ કરી લીધી.

અહેવાલો મુજબ, બોડેલી તાલુકાનાં ગુલાબ દામનસિંહ પરમારનાં લગ્ન વાઘોડિયા તાલુકાનાં રાજપુરા ગામની જયા સાથે થયા હતા. તેમને બે સંતાનોમાં સિદ્ધાર્થ (ઉંમર ૧૩) અને દક્ષરાજ (ઉંમર દોઢ વર્ષ)ના બે દીકરા હતા. ૧૬ સપ્ટેમ્બરની સવારે ગુલાબ બાઈક લઈને ભોરદાથી રાજપુરા જવાનું કહીને નીકળ્યો હતો. પત્ની જયા અને દોઢ વર્ષનાં દીકરા દક્ષરાજને લઈને નીકળ્યો હતો. બોડેલી નજીક અલ્હાદપુરાનાં બ્રિજ પર થઈને ઝાંખરપુરા પાસે બાઈક ઊભું રાખ્યું હતું. આ સ્થળે તેણે પત્ની જયા અને પુત્ર દક્ષરાજને ધક્કો મારીને પાણીનાં ઊંડા વહેણમાં ફેંકી દીધા હતા. આ ઘટના બાદ ગુલાબ પરમાર પોતાના ઘરે જતો રહ્યો હતો. ઘટના પાછળ પતિ પત્ની વચ્ચેનો ઘરકંકાસ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Previous articleલગ્નની લાલચ આપી યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચરતા ખળભળાટ
Next articleઅમદાવાદ આર્મી કેમ્પના સ્મશાનમા જ ગંદકીનું સામ્રાજ્ય..