ગૌણ સેવા મંડળ દ્વારા પસંદગી પામેલાઓને નિમણૂંક પત્રો એનાયત

856
gandhi2732018-5.jpg

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનીયર કલાર્ક, મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે પસંદગી પમેલા ૧૦પ૪ યુવાઓને નિમણૂંક પત્ર વિતરણમાં મુખ્યમંત્રીએ આ પ્રેરક આહવાન કર્યું હતું. આ નવયુવાઓને ‘ટીમ ગુજરાત’માં આવકારતાં ઉમેર્યું કે, ગુજરાત સરકારના કર્મયોગીની અને સુશાસનની જે ઇમેજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ દેશભરમાં મોડેલ તરીકે પ્રસ્થાપિત કરી છે તેને તમારા કતૃત્વ ભાવથી વધુ ઉજાગર કરવાની છે.
આ સરકાર પારદર્શી અને સંવેદનશીલ છે તેની જન અનુભૂતિ સામાન્યમાં સામાન્ય માનવીને પણ થઇ રહી છે. રાજ્ય સેવાના સાડા ચાર લાખથી વધુ કર્મયોગીઓ, મંત્રી પરિષદ, પદાધિકારી સહિત સમગ્ર સરકાર પીડિત, શોષિત, વંચિત, છેવાડાના માનવીને મદદરૂપ થવાના લક્ષ્ય સાથે કર્તવ્યરત છે. ‘‘તમારે પણ તમારી પાસે પોતાના કામ-સમસ્યા અંગે આવતા અરજદારની જાતમાં એકવાર તમારી જાતને મૂકીને તેની સમસ્યાનું યોગ્ય સુચારૂ નિવારણ લાવવાનું જવાબદેહ દાયિત્વ બજાવવાનું છે.’’ એમ તેમણે આ યુવાઓને સંવેદનશીલ વ્યકતવ્યમાં જણાવ્યું હતું. 
આ પ્રસંગે રાજ્ય સરકારના સચિવાલયથી લઇને છેક તાલુકાસ્તર સુધીના કર્મયોગીઓના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન માટે બાયોમેટ્રિકસથી માંડીને ડેશ બોર્ડ જેવી આઇ.ટી. ટેકનોલોજી આધારિત પેરામીટર્સ વિકસાવવાની નેમ વ્યકત કરી હતી. તેમણે આ સંદર્ભમાં નવનિયુકત યુવા ઉમેદવારોને અનુરોધ કરતાં ઉમેર્યુ કે, સરકારી નોકરી મળી જાય એટલે સુરક્ષિતતાનો ભાવ આવે પણ સ્થગિતતા કયારેય ન આવવી જોઇએ. 
ટેકનોસેવી યુવાપેઢી રાજ્ય સરકારની સેવામાં હવે વ્યાપક પ્રમાણમાં જોડાઇ રહી છે ત્યારે તેમના જ્ઞાન-કૌશલ્યથી પ્રશાસનિક મોડને નવી ઊંચાઇએ લઇ જવાનો સંકલ્પ કરવા પણ તેમણે યુવાઓને પ્રેરણા આપી હતી. પાછલા બે વર્ષમાં રાજ્ય સરકારની વિવિધ સેવાઓમાં પારદર્શી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ગુણ મૂલ્યાંકન આધારે કસોટીની એરણે ખરા ઉતરેલા ૮૦ હજારથી વધુ યુવાઓને રોજગાર અવસર મળ્યા છે તેની વિશદ ભૂમિકા આપી હતી. 
આ પારદર્શીતા અને કોમ્પ્યુટરાઇઝડ ભરતીને પરિણામે કોઇ પણ રોજગાર વાંચ્છુ યુવક-યુવતિને કોઇનેય એક પૈસોય કટકી-બટકી નથી આપવી પડી-કોઇનો ઝભ્ભો પકડવો નથી પડયો એ જ આ પધ્ધતિની શતપ્રતિશત સફળતાનો માપદંડ છે. તેમણે આ નવનિયુકત કર્મયોગીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. 
આસિત વોરાએ પસંદગી મંડળનું આખું કલેવર બદલાવીને જે પરીક્ષા પધ્ધતિ, કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ વગેરે આધારે રિક્રુટમેન્ટ થાય છે તેની વિસ્તૃત વિગતો આપી હતી. 

Previous articleવિધાનસભાનું રૂપિયા ૧૩પ કરોડના ખર્ચે રિનોવેશન ચાલુઃબીજી તરફ પોપડા ઉખડ્યા
Next articleસિંહ સાથે સોબત’ પુસ્તકનું ૧લી એપ્રિલે થશે વિમોચન