ભાવ. યુનિ.માં મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવન પ્રસંગોની ગોષ્ઠીનો પાંચમો મણકો યોજાયો

774
bvn2092017-1.jpg

ભાવનગર યુનિવર્સિટીમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવનપ્રસંગો સંદર્ભે પાંચમો મણકો કુલપતિ ડો.શૈલેષભાઈ ઝાલાના અધ્યક્ષસ્થાને તા.૧૯-૯-ર૦૧૭ના રોજ સાંજે પ થી ૬ દરમિયાન મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીના નવા કોર્ટ હોલમાં ખાસ ફરજ પરના અધિકારી ભવનોના અધ્યક્ષ, એક્ઝિક્યુટીવ કાઉન્સિલના સભ્ય, કોર્ટ સભ્યો, વિવિધ કોલેજોના આચાર્યઓ, યુનિવર્સિટી કાર્યાલયના વિવિધ વિભાગોમાં અધિકારીઓ અને વહિવટી કર્મચારીઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ ગોષ્ઠીના કાર્યક્રમમાં લાઈફ સાયન્સ ભવનના કર્મચારી જીતેન્દ્રભાઈ વાળાએ ભાવનગર રાજ્યસભાનો આરંભ અને ચૂંટણી, મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ, માતા મહારાણીનું અવસાન, મહારાજા તરીકે તિલક, સગીર હોવાથી વહિવટી કમિટી, રાજકુમાર કોલેજમાં અભ્યાસ, નિશાનીબાજીમાં મેળવેલ ઈનામ, લંડન, યુ.કે.માં અભ્યાસ, શામળદાસ કોલેજમાં વ્યાખ્યાનોમાં હાજરી, મહારાજા તરીકે રાજ્યાભિષેક, ગોંડલના રાજકુમારી સાથે લગ્ન, રાજકુમાર શિવભદ્રસિંહજીનો જન્મ, પ્રજાજનો માટે કરાવેલ પાણીની વ્યવસ્થા તેમજ રાજવી પરિવારની વિગતો જન્મના વર્ષ સાથે વર્ણવી હતી. તેમજ મહારાજા સાહેબે પોતાનું રાજ્ય મહાત્મા ગાંધીજીને સમર્પિત કર્યુ, મદ્રાસના રાજ્યપાલ તરીકે નિમાયા, પગાર તરીકે એક જ રૂપિયો લેતા હતા, બ્રાઝીલની મુલાકાત, ગીર ગાય વિશે, મહારાજા સાહેબના અવસાન વિશે વર્ષવાર માહિતી આપી હતી.
રસાયણ શાસ્ત્રી ભવનના સિનીયર આસીસ્ટન્ટ જીતુભાઈ ભટ્ટ દ્વારા નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને શામળદાસ આર્ટસ કોલેજના ગણિતના પ્રાધ્યાપક શંભુભાઈ ત્રિવેદી સાથે થયેલ વિવિધ વાર્તાલાપો, શિક્ષિત પ્રજાએ રાજ્યનો વિકાસ, કોલેજ, માધ્યમિક શાળાઓ, પ્રાથમિક શાળાઓ, ઉર્દૂ શાળાઓ, વેદ શાળા, શૈક્ષણિક સંસ્થાઓના તાલીમ કાર્યક્રમો અને શિક્ષણ સંવર્ધના વિવિધ કાર્યક્રમો, શિક્ષકોના અધિવેશનો, ભાવનગર રાજ્યે ફોરેન સ્કોલરશીપ શરૂ કરેલી, રાજમાં પ્રજા બેધડક રીતે પોતાની રજૂઆતો-ફરિયાદો રજૂ કરી શકે તેવું વાતાવરણ, ભાવનગર રાજ્યમાં શરૂ કરેલા અનાથ આશ્રમો, છાત્રાલયનો પ્રોત્સાહન, રમતગમતની પ્રવૃત્તિઓ, ક્ષય રોગના નિવારણ માટે જીથરી ગામે આપેલ જમીનની માહિતી આપી હતી.
એકેડેમિક વિભાગના સિનીયર આસીસ્ટન્ટ ચિરાગભાઈ જોશીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો ધ્યાનમંત્ર મારી પ્રજાનું કલ્યાણ થજો હતો, એ સંદર્ભે યુનિવર્સિટીને જમીન ફાળવી, કેળવણી માટે કેળવણીકાર નાનાભાઈ ભટ્ટને કેળવણીના પ્રયોગો માટે જાપાન, યુરોપના રાજ્યોમાં પ્રયોગો માટે મોકલ્યા. લોકશાહીની ભાવના, શિકાર, બીજુ મહાયુધ્ધ, વાઈસરોય લોર્ડ લિનલિથગગોએ પ્રયોગો સ્વશિક્ષણની તાલીમ, ભાવનગર રાજ્યની સંદેશાવાહક પક્ષીઓ વિશે રસપ્રદ માહિતી આપી હતી.કુલપતિ ડો.એસ.એન. ઝાલાએ આ ગોષ્ઠીમાં ઉપસ્થિત રહેલ તમામ શૈક્ષણિક અને વહિવટી કર્મચારીઓનો આભાર માનેલ તેમજ આ ગોષ્ઠીમાં વક્તવ્ય આપનાર ઉપરોક્ત ત્રણેય કર્મચારીઓને બિરદાવ્યા હતા અને આવનાર દિવસોમાં મહારાજા સાહેબ અંગે લેખિતમાં ટીમને સુચનો કરવા જણાવેલ અને વિવિધ કાર્યક્રમ જેવા કે, નાટક સ્વરૂપ/કેવીઝ સ્વરૂપમાં આવનાર દિવસોમાં શરૂ કરવા કર્મચારીઓને સૂચન કરેલ છે.

Previous articleપીએમના જન્મદિને આદપુર આશ્રમે જમણવાર
Next articleવિજ્ઞાન જાથાએ સ્વચ્છતા ઝુંબેશમાં ભાગ લીધો : પત્રિકા વિતરણ કરાયું