૧૪ વર્ષ પહેલાં વેચેલા ફલેટમાં રિવાઈઝ પ્લાનના નામે લાખો રળવા બિલ્ડરની દાનત બગડી

674
gnd4418-4.jpg

ગાંધીનગરમાં ૧૪ વર્ષ પહેલાં વેચેલા ફલેટોમાં નવા નિયમોનો આશરો લઈ મૂળ શનદના માલિક પાસે રિવાઈઝ પ્લાન મુકી લાખો રૂપિયા રળી લેવા બિલ્ડરે પરમીશન મેળવી બાંધકામ શરૂ કરતાં સ્થાનિક ફલેટ માલિકોનો વિરોધ. ફલેટ માલિકો અને બિલ્ડર આમને-સામને આવી ગયા છે. સેકટર – રર માં બિલ્ડરને એક ફલેટના પ૦ થી ૭પ લાખ મળતા હોવાથી દાનત બગડી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. 
સરકારી વસાહતની સાથોસાથ ખાનગી પ્લોટિંગમાં વીઆઇપી વસાહત ધરાવતા સેક્ટર ૨૨માં આવેલી આનંદવાટિકા સોસાયટીમાં એપાર્ટમેન્ટના પ્લાન રિવાઇઝ કરવાના નામે ર્પાકિંગમાં મહાપાલિકાએ બાંધકામની પરવાનગી આપી દીધાના આક્ષેપ સાથે વિવાદ શરૂ થયો છે. પાટનગરમાં દાયકા પહેલા ગુડા દ્વારા અપાયેલી બાંધકામ સંબંધિ મંજુરીઓમાં હવે મહાપાલિકાની બાંધકામ શાખા દ્વારા લેવામાં આવતા નિર્ણયો સમયાંતરે વિવાદનો મધપૂડો છેડી દે છે. 
તેવો જ વધુએક આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે અને આવી મંજુરી વ્યાપક ભ્રષ્ટાચાર આચરીને આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ મનન એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય સુધી કરવામાં આવી છે. સાથે જ કોર્ટ પ્રક્રિયા શરૂ કરાઇ છે. 
એપાર્ટમેન્ટના રહેવાસીઓએ આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને પણ પાઠવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સેક્ટર ૨૨ના પ્લોટ નંબર ૧૮૩માં બાંધવામાં આવેલા એપાર્ટમેન્ટનો પ્લાન ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વર્ષ ૨૦૦૪માં મંજુર કરવામાં આવ્યો હતો. તેમાં ભોંયતળિયાની સંપૂર્ણ જગ્યા ર્પાકિંગ તરીકે દર્શવવામાં આવેલી છે. હવે ૧૪ વર્ષ બાદ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા રીવાઇઝ્‌ડ પ્લાન ગેરકાયદે પાસ કરીને ત્યાં ફ્‌લેટ બાંધવાની મંજુરી આપી દીધી છે. ડેવલપર દ્વારા અંહી બાંધકામ શરૂ કરી દેવામાં આવતા રહેવાસીઓએ આખરે કાયદાનો સહારો લેવાની વેળા આવી છે. 
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં ગેરકાયદે બાંધકામોનો મુદ્દો ખુબજ જટિલ બન્યો છે. જીડીસીઆરના નિયમોનું ઉલ્લંઘન કરીને વધુ માળ બાંધવા તેમજ ર્પાકિંગની જગ્યા નહીં રાખી અને પ્લાનમાં બતાવેલી જગ્યા કરતાં વધુ જગ્યામાં બાંધકામ કરવાના કિસ્સાઓ બની રહયા છે તેની સામે કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવતા નથી ત્યારે શહેરના સે-રરમાં આવેલી આનંદવાટીકા વસાહતમાં મનન એપાર્ટમેન્ટ પ્લોટ નં.૧૮૩માં આવેલું છે. જેને વર્ષ ર૦૦૪માં ગુડા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ભોંયતળીયે ર્પાકિંગની જગ્યા રાખવામાં આવી હતી. જો કે હવે ૧૪ વર્ષ બાદ આ ર્પાકિંગની જગ્યામાં બિલ્ડર દ્વારા બાંધકામ કરવામાં આવી રહયું છે જેને લઈ આ એપાર્ટમેન્ટમાં રહેતાં વસાહતીઓમાં રોષ ભભુકયો છે. કોર્પોરેશન દ્વારા આ પ્લાનને રીવાઈઝ કરીને મંજુરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ વસાહતીઓએ કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા સામે પણ શંકાઓ સેવી છે અને મોટા વહીવટના કારણે આ મંજૂરી મળ્યાનું જણાવી રહયા છે ત્યારે તાત્કાલિક અસરથી આ બાંધકામ નહીં અટકાવવામાં આવે તો વસાહતીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.
પાટનગરમાં વાહન ર્પાકિંગની વ્યાપક સમસ્યા સર્જાઇ રહી છે અને જુના કોમર્શિયલ કોમ્પલેક્સને આ મુદ્દે સીલ મારવા સુધીના પગલા મહાપાલિકા દ્વારા લેવામાં આવી રહ્યાં છે. ર્પાકિંગ વિસ્તાર ખુલ્લા કરવા અને નવા ઉભા કરવાની યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે મહાપાલિકાની જ ટાઉન પ્લાનિંગ શાખાના આ નિર્ણય સામે વસાહતીઓમાં વ્યાપક રોષ ફેલાયો છે અને આવી ગેર પ્રવૃત્તિ અટકાવવા માગણી કરાઇ છે. 

Previous article ધંધુકામાં વિજપોલ પર સ્ટ્રીટલાઈટનું જબરૂ કૌભાંડ ઉજાગર થયું
Next articleગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોના આયોગની કચેરીનો કાર્યારંભ