દેશમાં મોટા પાયે લોકડાઉન નહીં લાગેઃ નિર્મલા સીતારમણ

221

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૪
દેશના અનેક રાજ્યોમાં મહા ભયાનક બનેલી કોરોનાવાયરસ મહામારી સામે લડવા માટે મીની લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ જેવા પગલા જાહેર કરવામાં આવી રહ્યા છે અને અર્થતંત્ર સામે ફરી પડકારો ઊભા થયા છે ત્યારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ફરીવાર એવી ચોખવટ કરી છે કે દેશમાં મોટાપાયે લોકડાઉન નહીં લાગે. જનતામાં એક પ્રકારની મૂંઝવણ છેલ્લા ઘણા દિવસોથી રહી છે અને દરેક રાજ્યમાં લોકો ગભરાઇ રહ્યા છે કે ફરીવાર સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉન કેન્દ્ર સરકાર નાખી શકે છે પરંતુ નાણા મંત્રી એ ચોખવટ કરી દીધી છે કે કેન્દ્ર સરકારની અત્યારે આવી કોઈ યોજના નથી. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ભયંકર સ્વરૂપમાં આવી ગઇ છે અને એટલા માટે રાજ્ય સરકારોને પોતાની પરિસ્થિતિને અનુલક્ષીને આકરા નિયમો લગાવવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્ય સરકારો તે રીતે જ કામ કરી રહી છે. કેન્દ્ર સરકાર ફરીવાર દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવતી નથી અને કેન્દ્ર સરકારની એવી કોઈ યોજના પણ નથી માટે જનતાએ આવી કોઈ અફવા પર ધ્યાન દેવાની જરૂર નથી. કોરોના ને હરાવવા માટે જનતાએ તમામ નિયમોનું ગંભીરતાથી પાલન કરવું જોઈએ.મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી મોટા પાયે પરપ્રાંતીય મજૂરોની હિજરત શરૂ થઈ છે અને એ લોકોને તેવો ખતરો દેખાઈ રહ્યો છે કે ફરીવાર દેશભરમાં પહેલા જેવું લોકડાઉન લાગી જશે.
નાણામંત્રીએ મજૂરો અને જનતાનો ભય દૂર કરીને ચોખવટ કરી દીધી છે અને લોકોએ કોરોના ને હરાવવા માટે સક્રિયતા દાખવવી જોઈએ અને ગંભીરતા સાથે તમામ નિયમોનું પાલન કરવું જોઇએ તેવી અપીલ પણ નાણામંત્રીએ કરી છે.

Previous articleભારતમાં ૨૪ કલાકમાં ૧.૮૪ લાખ કેસ, ૧૦૦૦થી વધુ મોત
Next articleપટણામાં કોરોના ભગાડવા ચૂંટણી યોજવાના પોસ્ટરો