સાંકેતિક કાવડ યાત્રા પર યુપી સરકાર વિચાર કરે : સુપ્રીમ

498

જીવવાનો અધિકાર સૌથી ઉપર : રાજ્ય દ્વારા શિવ મંદિરોમાં ગંગાજળ ઉપલબ્ધ કરાવવા કોર્ટમાં રજૂઆત
(સં. સ.સે.) નવી દિલ્હી, તા.૧૬
કોરોના સંકટ વચ્ચે કાવડ યાત્રાને લઈ સસ્પેન્સ બનેલું છે. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, પ્રદેશમાં કાવડ યાત્રા પર સંપૂર્ણપણે પ્રતિબંધ નહીં રહે, કાવડ યાત્રા સાંકેતિક સ્વરૂપે ચાલુ રહેશે. હવે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને આ મુદ્દે ફેરવિચારણા માટે જણાવ્યું છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે સુનાવણી કરવામાં આવશે. યુપી સરકારે ફરી એક વખત સોમવારે પોતાનો જવાબ આપવો પડશે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્વનો વિષય છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિનું જીવન સૌથી વધારે મહત્વનું છે. ધાર્મિક અને અન્ય ભાવનાઓ મૌલિક અધિકારને આધીન જ છે. યુપી સરકારે પોતાના સોગંદનામામાં જણાવ્યું હતું કે, પ્રદેશમાં કાવડ યાત્રા પર સંપૂર્ણપણે પ્રતિબંધ નથી. સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં યુપી સરકારે કહ્યું હતું કે, સાંકેતિક સ્વરૂપે કાવડ યાત્રા કરવામાં આવશે. સાથે જ સરકાર દ્વારા આ અંગેની ગાઈડલાઈન પણ બનાવાઈ શકે છે. આ તરફ કેન્દ્રએ કોર્ટમાં કહ્યું કે, રાજ્ય સરકારે પ્રોટોકોલ અંતર્ગત ઉચિત નિર્ણય લેવો જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા પહેલેથી જ તમામ એડવાઈઝરી જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, કાવડ યાત્રાને ઉત્તરાખંડ જવાની મંજૂરી ન આપવી જોઈએ. જોકે ગંગાગજળ એવી જગ્યાએ ઉપલબ્ધ કરવું જોઈએ જેથી કાવડિયાઓ નજીકના શિવ મંદિરમાં પૂજા કરી શકે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે આ વખતે કાવડ યાત્રા પર પ્રતિબંધ મુક્યો છે. જોકે ઉત્તર પ્રદેશ સરકારે સંપૂર્ણ પ્રતિબંધ નહોતો મુક્યો. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટે આ મુદ્દે જાતે જ સંજ્ઞાન લીધું હતું. ઉત્તરાખંડ પોલીસ હવે કાવડ યાત્રાને લઈ આકરી બની છે. ૨૪ જુલાઈથી હરિદ્વાર બોર્ડર કાવડિયાઓ માટે સીલ કરી દેવામાં આવશે. ડીજીપી તરફથી આ નિર્દેશ આપવામાં આવ્યો છે. નિષ્ણાતો દ્વારા સતત ચેતવણી આપવામાં આવી રહી છે કે, કોરોનાની ત્રીજી લહેર ગમે તે સમયે આવી શકે છે. સરકારે પહાડી વિસ્તારોમાં ઉમટી રહેલી ભીડને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ સંજોગોમાં કાવડ યાત્રાને લઈ અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા હતા.

Previous articleભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૮,૯૪૯ નવા કેસ, ૫૪૨ના મોત
Next articleભારે વરસાદથી મુંબઈમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા