વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિંહાએ રાજીનામું આપ્યું

350

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ રાજીનામું આપ્યું છે. રાજીનામુ કેમ આપ્યું આ અંગે હજુ સુધી કોઈ જાણકારી નથી મળી રહી. જોકે ક્યા કારણસર તેમણે રાજીનામુ ધર્યુ, તેના પર બધાની નજર છે. મહત્વપૂર્ણ છે કે તેઓ બિહાર કેડરના અધિકારી છે. અમરજિત સિન્હા ૧૯૮૩ બિહાર કેડરના આઈએએસ (નિવૃત) અધિકારી છે. તેમણે ગ્રામીણ વિકાસ સચિવ તરીકે પણ સેવાઓ આપી છે. અમરજીત સિંહાના રાજીનામાની હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી ,પરતું વડાપ્રધાન કાર્યાલયના સૂત્રોના આધારે માહિતી આપવામાં આવી રહી છે.તાજેતરના મહિનાઓમાં પીએમઓમાંથી રાજીનામું આપનાર તેઓ બીજા વરિષ્ઠ અધિકારી છે. અગાઉ માર્ચમાં, પૂર્વ કેબિનેટ સચિવ પીકે સિન્હા જે પ્રધાનમંત્રી કાર્યાલયમાં મુખ્ય સલાહકાર હતા, તેમણે પણ રાજીનામું આપ્યું હતું. ગ્રામીણ વિકાસ મંત્રાલયના સચિવ તરીકે નિવૃત્ત થયા બાદ સિન્હાને સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્રણ દાયકાની કારકિર્દીમાં, સિંહાએ શિક્ષણ મંત્રાલય અને પંચાયતી રાજમાં મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા. તેઓ ગ્રામીણ વિકાસ બાબતોમાં નિષ્ણાત છે. રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન અને સર્વ શિક્ષા અભિયાન જેવી યોજનાઓમાં તેમની ભૂમિકા મહત્વની હતી. ગત વર્ષે ફેબ્રુઆરીમાં તેમની વડાપ્રધાનના સલાહકાર તરીકે નિમણૂંક કરાઇ હતી. તેઓ સામાજિક ક્ષેત્રે સાથે જોડાયેલા પ્રોજેક્ટને હેન્ડલ કરતા હતા. તેમનો કાર્યકાળ બે વર્ષનો હતો. એક રિપોર્ટ મુજબ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના એક અધિકારીએ નામ ન આપવાની શરતે સિન્હાના રાજીનામાની પુષ્ટિ કરી છે. તેમના રાજીનામાનું કારણ સ્પષ્ટ નથી. આ વર્ષે વડાપ્રધાન કાર્યાલયમાંથી આ બીજું મહત્વપૂર્ણ રાજીનામું છે. આ પહેલા માર્ચ મહિનામાં વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ પી કે સિન્હાએ પણ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

Previous article૬ લગ્ન કરનારા પૂર્વ મંત્રી ચૌધરી બશીર વિરુદ્ધ ત્રણ તલાકનો કેસ દાખલ કરાયો
Next articleપેગાસસ માટેNDAમાં ફૂટ, નિતીશ કુમારે તપાસની કરી માગ