કેરળ બાદ મુંબઈમાં પણ કોરોનાના કેસમાં વધારો

120

મુંબઈમાં એક અઠવાડિયા કરતા વધુ દિવસોથી નવા કેસનો ગ્રાફ સળંગ ઊંચો જઈ રહ્યો હોઈ રાજ્યમાં ચિંતા
મુંબઈ, તા.૩
કેરળમાં વધતા કેસ કોરોનાની ત્રીજી લહેરના ભણકારાને વધારે તેજ બનાવી રહ્યા હતા, ત્યારે હવે મુંબઈમાં પણ કોરોનાના નવા કેસમાં વધારો થવાનું શરુ થઈ ગયું છે. અહીં એક અઠવાડિયા કરતા વધુ દિવસોથી નવા કેસનો ગ્રાફ સળંગ ઊંચો જઈ રહ્યો છે, જે ચિંતાજનક છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ ૪,૩૪૨ નોંધાયા છે, જેમાં પાછલા દિવસની સરખામણીએ ૧૧૪ કેસ ઘટ્યા છે. બીજી તરફ મુંબઈમાં બુધવારના ૪૧૫ નવા કેસની સરખામણીમાં ગુરુવારે કેસ વધીને ૪૪૦ પર પહોંચ્યા છે. આ સાથે બીએમસીના આંકડા પ્રમાણે મુંબઈમાં ગંભીર દર્દીઓની સંખ્યા ૨૯ ઓગસ્ટના રોજ ૩૯૦ હતી જે ૧ સપ્ટેમ્બરે ૫૧૩ પર પહોચી ગઈ છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા ૨૬ ઓગસ્ટના રોજ ૨,૭૩૬ હતી તે વધીને ૩,૧૮૭ પર પહોંચી ગઈ છે. આ સમય દરમિયાન હોમ કોરન્ટાઈન થયેલા લોકોની સંખ્યા ૪૩,૧૯૨થી વધીને ૫૨,૫૨૯ થઈ ગઈ છે. એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કકાણીએ જણાવ્યું છે કે, કેસમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ આના પરથી એ ના કહી શકાય કે આ ત્રીજી લહેર છે. અમે આગામી દિવસો દરમિયાન નવા કેસમાં થઈ રહેલા વધારાના ટ્રેન્ડ પર નજર રાખીશું. બીજી તરફ રાજ્યમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક ઘટ્યો છે. બુધવારે ૧૮૩ મૃત્યુ નોંધાયા હતા જ્યારે ગુરુવારે તે ૫૫ પર પહોંચ્યા છે. અહીં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૬૪.૭૩ લાખ થઈ ગઈ છે અને મૃત્યુઆંક ૧,૩૭,૫૫૧ પર પહોંચ્યો છે. મુંબઈમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૭.૪૫ લાખ પર પહોંચી છે અને મૃત્યુઆંક ૧૫,૯૮૪ થઈ ગયો છે. મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર અમિત દેશમુખે જણાવ્યું છે કે, ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને મેડિકલ કૉલેજમાં જરુરી સાધન-સામગ્રી વધારી દેવાઈ છે અને જિલ્લા વહીવટી તંત્રને સચેત રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે આગળ જણાવ્યું છે કે, ડૉક્ટરોને રવિવારે યોજાનારા ઓનલાઈન સેમિનારમાં જોડાવા માટે જણાવાયું છે, જેથી તેઓ ટાસ્ક ફોર્સ એક્સપર્ટ સાથે સારવાર અને નિવારણ અંગે ચર્ચા કરી શકે. રાજ્ય તથા મુંબઈ શહેરમાં કોરોનાના નવા કેસને ડામવા માટે આગામી સમયમાં કેટલાક જરુરી પગલા પણ ભરવામાં આવી શક છે. જેમાં તહેવારો તથા સ્કૂલોને લઈને શું નિર્ણય લેવો તે અંગે પણ કેટલાક મહત્વના પગલા ભરવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. રાજ્યમાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને પણ મહત્વની ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે, જેથી કરીને ફરી એકવાર કોરોના વાયરસ પાટે ચઢેલી જીવન શૈલીને અટકાવવાનું કામ ના કરી શકે.

Previous articleછેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૫૩૫૨ નવા પોઝિટિવ કેસ
Next articleમાંડવિયા ઓળખ બદલી સારવાર માટે પહોંચ્યા