આઝાદીના અમૃત પર્વની ઉજવણીના ભાગરૂપે ભાવનગરમાં પરિસંવાદ યોજાયો

151

ભારતના ભવ્ય ભૂતકાળને વાગોળવા અને ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચવાડવાનું સશક્ત માધ્યમ મીડિયા છે – જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ

જિલ્લા માહિતી કચેરી, ભાવનગર અને ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત આઝાદીના સંગ્રામમાં ભાવનગર જિલ્લાનું યોગદાન વિષય પર પરિસંવાદનું આયોજન કરાયું હતું. જિલ્લા પંચાયતના સભાગૃહ ખાતે યોજાયેલાં પરિસંવાદમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, ભારતના ભવ્ય ભૂતકાળને વાગોળવાં અને ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચવાડવાનું સશક્ત માધ્યમ મીડિયા છે. રાજ્ય સરકારના માહિતી ખાતાના દ્વારા ખૂબ સરસ વિષયને લઇને ભારતની આઝાદીના ૭૫ માં વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે તે અભિનંદનને પાત્ર છે તેમ જણાવી તેમણે પત્રકારોને નિડરતાથી પોતાનો પત્રકાર ધર્મ નિભાવી સત્યને ઉજાગર કરે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સાચી માહિતીના પ્રસારણ સાથે ભારતના ઇતિહાસને ઉજાગર કરવાનું સામર્થ્ય અને શક્તિ મીડિયામાં રહેલી છે. આજે એક સાથે ભાવનગરના તમામ મીડિયાના મિત્રો ઉપસ્થિત છે તે આનંદની વાત છે. આઝાદીની લડાઇમાં પત્રકારોનો મહત્વનો ફાળો તે જમાનામાં રહેલો છે. તે જ રીતે આજની પેઢીને આઝાદી કાળના સંસ્મરણો તાજા કરાવતાં રહેવાની જવાબદારી મીડિયાની છે. તેમણે ભવિષ્યમાં સંવાદની આ કડી જાળવી રાખતાં જિલ્લા પંચાયત દ્વારા પણ આ પ્રકારનો સેમિનાર માહિતી ખાતાના સહકારથી કરવાની તત્પરતાં દર્શાવી હતી. તેમણે કહ્યું કે, હરિયાણાના સોનીપતમાં એક સેમિનારમાં તેઓ ગયાં હતાં. ત્યાં તેમણે કોઇકે પૂછ્યું કે, ક્યાંથી આવો છો ? તો તેના જવાબમાં ભાવનગરથી આવું છું, તેવું કહેતાં સામેની વ્યક્તિએ કહ્યું કે, ‘દેશ કો બનાનેવાલે નગર સે હૈ’ તેમ કહ્યું હતું તે ભાવનગરનું દેશમાં કેવું અને કેટલું માન છે તે દર્શાવે છે. તેમણે કહ્યું કે, નાના સાહેબ પેશ્વાએ ભાવનગરના તેમના પાંચ સાથીઓ સાથે આશરો લીધો હતો. ભાવનગર તે સમયે સમગ્ર દેશમાં સૌથી શાંત શહેર હતું અને તેમણે ગાંધીજીને માનપત્ર આપવાની ન પાડી દીધી હતી. કારણ કે તેમને ગાંધીજી પ્રવૃત્તિ આંદોલનકારી જણાઇ હતી અને તેનાથી એક શિરસ્તો થઇ જવાનો પણ ડર હતો.ભારત દેશનો ગૌરવવંતો ઇતિહાસ રહ્યો છે. તે જ રીતે ભાવનગરનો પણ ગૌરવવંતો ઇતિહાસ રહ્યો છે. ભાવનગરના મહારાજા ભાવસિંહજી બીજાનાં કોલ્હાપુરના મહારાજા શાહુજી મહારાજ જીગરજાન દોસ્ત હતાં. ભાવનગરના દિવાનો એટલાં બાહોશ હતાં કે એક વાર જાણીતા પત્રકારશ્રી ડો. ચંદ્રકાંત બક્ષીએ લખ્યું હતું કે, વહેલી સવારે ભાવનગરના દિવાનપરાંમાં જાઓ અને જે કોઇ નવયુવાન પાઘડી પહેરીને જતો હોય તેને તમારા રાજ્યનો દિવાન બનાવી દો. ભાવનગરના દિવાનપરાંએ ગૌરીશંકર ઓઝા અને પ્રભાશંકર પટ્ટણી જેવાં બાહોશ દિવાનો પેદા થયાં છે. ટી.વી. ૯ ના વરિષ્ટ પત્રકારશ્રી અજીત ગઢવીએ જણાવ્યું કે, તે સમયે ૧૮૦૦ ગામના પાદરના ધણીનું બનેલું ભાવનગર સમૃધ્ધ, શિક્ષિત અને સંસ્કારી નગર હતું. પત્રકાર શિરોમણી ઝવેરચંદ મેઘાણી અને ગાંધીજી ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યાં છે. તે ભાવનગર માટે ગૌરવની વાત છે. સરદાર પટેલને પોતાનું રાજ્ય આપવાં માટેની સહી કરવાં માટે પોતાનું રાજ્ય અર્પણ કરવાં સમયની વાત કરતાં શ્રી ગઢવીએ જણાવ્યું કે, મહારાજાએ પોતાનું રાજ્ય લખી આપવાની ૫ મીનીટ પહેલાં સરદાર સાહેબને કહ્યું કે, હું મારા ધર્મપત્નીને પૂછીને કહું .. કારણ કે રાજ્ય મારી સંપત્તિ છે પણ મહારાણીએ લાવેલ દાયજો તેમની સંપત્તિ છે તો તેમને પૂછવું પડે. અને જ્યારે કૃષ્ણકુમારસિંહજીએ જણાવ્યું કે, મહારાણી તમારે શું કરવાનું છે. ત્યારે મહારાણીએ મહારાજને કહ્યું કે, જ્યારે તમે હાથી આપતાં હોય તો હાથી શણગાર વગર સારો લાગે…. અને મહારાણીએ તેમનો દાયજો પણ રાષ્ટ્રને ચરણે ધરી દીધો હતો. આવાં પ્રજાવત્સલ રાજવીએ આખું ગોહિલવાડ રાષ્ટ્રને ચરણે ધરી દીધું એવું ભાવનગર છે. ગાંધી ચોકમાં પણ ખૂબ આંદોલનો થયાં હતાં તેમ જણાવી ઉપસ્થિત પત્રકારોમાં પણ સ્વાતંત્રતાનો જુસ્સો લાવી આંદોલીત કરી દીધાં હતાં. નાયબ માહિતી નિયામક જે.ડી. વસૈયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સત્યપૂંજ સમાચારના પત્રકાર મુકેશ પંડિતે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આભારવિધિ સિનિયર સબ એડિટરશ્રી સુનિલ પટેલે કરી હતી. આ પરિસંવાદમાં માહિતી ખાતાના કર્મચારીઓ, પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક માધ્યમોના પત્રકારઓ, પ્રબુધ્ધ નાગરિકો અને પત્રકારત્વ ક્ષેત્રના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleથોરડી ગામેથી સગીરાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી : ધાર્મિક પ્રસંગે આવેલી સગીરા ત્રણ દિવસથી ગુમ થઈ હતી
Next articleભાવ. ડિવિઝનમાં રેલવે કામદારોએ રેલવે પરિસર, કોચિંગ ડેપો અને આરોગ્ય એકમોની સફાઈ કરી તેમને ચમકાવ્યા