અમરનાથ યાત્રામાં ૨૫૦થી વધારે ગુજરાતીઓ ફસાયા

1653

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા હાલ વધુ એકવાર અટકાવી દેવામાં આવી છે. મુશળધાર રસાદ અને પહેલગામ-બાલટાલના રસ્તાઓમાં જમીન ધસી પડવાના કારણે અમરનાથ યાત્રીઓને રોકી દેવામાં આવ્યાં છે. યાત્રા અટકાવવાના કારણે ગુજરાતના લગભગ ૨૫૦ જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા છે. ખરાબ હવામાનના કારણે આ વખતે અમરનાથ યાત્રાને અનેક વખત અસર થઇ છે. બાલતાલ રૂટમાં બરાડી માર્ગ પર ભૂસ્કલના કારણે અત્યાર સુધીમાં ૯ યાત્રીઓના મોત થઈ ચુક્યા છે. જ્યારે ૩ યાત્રી ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.

અહીં ૨૫૦થી વધુ ગુજરાતીઓ શ્રદ્ધાળુઓ હાલ અટવાયા છે. જેમાં વડોદરા સહિતના રાજ્યભરના શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ યાત્રામાં વડોદરા અને આણંદના ૧૧૦ શ્રદ્ધાળુઓ પણ અટવાયા છે. જોકે, તમામ યાત્રાળુઓ પહેલગામ બેસકેમ્પમાં સુરક્ષિત છે. ખરાબ વાતાવરણના કારણે બસને અધવચ્ચેથી પરત મોકલી દેવાઇ છે. બેસકેમ્પમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. અમરનાથ યાત્રા દરમિયાન ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે યાત્રાનો માર્ગ ધોવાઈ જાય છે. ભૂસ્ખલનના કારણે ઠેરઠેર માટીના ઢગલા જામી ગયા છે. રસ્તાઓ પરથી માટી હટાવવાનું કામ ઝડપથી ચાલુ છે. ત્યાં સુધી યાત્રીઓને કેમ્પોમાં જ રહેવાનો આદેશ અપાયો છે. જ્યારે રસ્તા યાત્રાને લાયક બનશે ત્યાર બાદ જ યાત્રાળુઓને આગળ જવા દેવામાં આવશે.

હાલ તો પહેલાગમમાં વરસાદ બંધ છે. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રાને સ્થગિત કરાઇ છે. જોકે, આવતી કાલ સુધીમાં વાતાવરણ સરખું થઇ જશે તો કાલે યાત્રા ફરીથી શરૂ થઇ શકે છે. આજે બીજા ૨૦૦થી વધુ યાત્રાળુઓ આવવાના છે. મળતી માહિતી મુજબ મંગળવારે સાંજે લગભગ ૬ વાગે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. જેના કારણે બાલતાલમાં ૪ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. જેમાંથી ૩ ભૂસ્ખલન બાલતાલ કેમ્પ વિસ્તારોમાં થયા. આ ઉપરાંત એક ભૂસ્ખલન અમરનાથ યાત્રીઓના ટ્રેકિંગ માર્ગ રેલ પથરીમાં થયો હતો. જેમાં અનેક લોકો ફસાઈ ગયા હતાં.

Previous articleસેટેલાઈટ ગેંગરેપ : ત્રણેય આરોપીઓના નાર્કો ટેસ્ટને મેટ્રોપોલિટન કોર્ટે આપી મંજૂરી
Next articleગ્રીનસીટીનો વજ્ર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન