એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ PCR રિપોર્ટ અપલોડ કરવો પડશે

100

ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ નહીં : બે શંકાસ્પદ કેસની તપાસ હાલ ચાલુ, પહેલી ડિસેમ્બર, ૨૦૨૧થી નવા દિશા-નિર્દેશો લાગુ થશે, ૧૪ દિવસનું યાત્રા વિવરણ આપવું પડશે
નવી દિલ્હી, તા.૨૯
ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો હજુ સુધી એક પણ કેસ સામે નથી આવ્યો. સરકારના વરિષ્ઠ અધિકારીઓએ સોમવારે આ અંગેની જાણકારી આપી હતી. જોકે બે શંકાસ્પદ કેસની તપાસ હાલ ચાલુ છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના ૨ લોકો કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા છે. તેમના સેમ્પલ દ્વારા વેરિએન્ટનો પ્રકાર જાણવા તપાસ થઈ રહી છે. મહારાષ્ટ્રના થાણેનો રહેવાસી આ શખ્સ ૨૪ નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાની યાત્રા કરીને પરત આવ્યો હતો. ત્યાર બાદ તે કોરોના વાયરસથી સંક્રમિત આવ્યો હતો. હાલ તે વ્યક્તિના સેમ્પલ્સને જીનોમ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે જેથી તે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયો છે કે, નહીં તે જાણી શકાય. બીજી બાજુ કર્ણાટક દ્વારા કેરળની સરહદને અડીને આવેલા દક્ષિણ કન્નડ, મદિેકેરી, ચામરાજનગર અને મૈસૂર જિલ્લામાં સાવચેતીના પગલા ભરવાનો આદેશ આપી દીધો છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ આ વાત પર ધ્યાન આપ્યું છે કે, કેરળથી આવનારા લોકોમાં કોવિડનો પ્રસાર વધારે જોવા મળ્યો છે. રાજ્ય સરકારે કેન્દ્ર સમક્ષ દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવતા લોકો પર યાત્રા પ્રતિબંધ લગાવવાનો પણ આગ્રહ કર્યો છે. મુસાફરોએ એરપોર્ટ પર ફરજિયાતપણે કોવિડ-૧૯ની તપાસ કરાવવી પડશે. સરકારે જેમને ’જોખમ’ની શ્રેણીમાં મુક્યા છે તેવા દેશોની યાત્રા કરીને પરત આવેલા લોકોની તપાસ પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમાં બ્રિટેન અને યુરોપ સહિત આશરે ૧૧ જેટલા દેશોનો સમાવેશ થાય છે. પહેલી ડિસેમ્બર, ૨૦૨૧થી નવા દિશા-નિર્દેશો લાગુ થઈ રહ્યા છે. નિયમ પ્રમાણે લોકોએ મુસાફરી પહેલા એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ પીસીઆર રિપોર્ટ અપલોડ કરવો પડશે અને ૧૪ દિવસનું યાત્રા વિવરણ આપવું પડશે. સ્વાસ્થ્ય મંત્રાલયના દિશા-નિર્દેશો પ્રમાણે જે વ્યક્તિ સંક્રમિત નોંધાશે તેમણે આઈસોલેટ રહેવું પડશે અને પ્રોટોકોલ અંતર્ગત તેમની તપાસ કરવામાં આવશે. તેમના સેમ્પલ્સનું જિનોમ સિક્વેન્સિંગ કરવામાં આવશે. નેગેટિવ આવ્યા બાદ ૭ દિવસ માટે હોમ આઈસોલેશનમાં રહેવું પડશે. બાદમાં ભારતમાં આગમનના ૮મા દિવસે ફરી તપાસ થશ.અને પછી ૭ દિવસ સુધી સેલ્ફ મોનિટરિંગ કરવામાં આવશે. જે લોકો બિનજોખમી દેશોમાંથી આવે છે તેમાંથી ૫ ટકાએ રેન્ડમલી તપાસમાંથી પસાર થવું પડશે. તમામ કોરોના પોઝિટિવ લોકોના સેમ્પલ્સ જીનો સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવશે. રાજ્યોને આંતરરાષ્ટ્રીય મુસાફરોનું આકરૂં મોનિટરિંગ, તપાસમાં વૃદ્ધિ, કોવિડ-૧૯ના હોટસ્પોટનું મોનિટરિંગ, સ્વાસ્થ્યના પાયાગત ઢાંચામાં વૃદ્ધિ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે. તેમાં સંપૂર્ણ જિનોમ સિક્વેન્સિંગ કરાવવાનું સામેલ છે.

Previous articleઓમીક્રોન ડેલ્ટા વેરિયંટથી ૬ ગણી વધુ ઝડપથી ફેલાય છે
Next articleભાવનગરના સીદસર ગામ પાસેનો પુલ જર્જરિત બનતા અકસ્માત સર્જાવાની ભીતિ