દેશ-વિદેશમાં વસતા ભક્તોએ શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ધામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવારના રોજ દિવ્ય ફુલોનો શણગાર તથા મારૂતિયજ્ઞ આયોજન કરાયું હતું.
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ આયોજીત શનિવાર હનુમાન જન્મોત્સવ એવં પૂર્ણિમાંનો ત્રિવેણી સંગમ-હનુમાન જયંતિના પવિત્ર પ્રસંગે હનુમત્ મંત્ર એવં બીજમંત્ર અનુષ્ઠાનનું ભવ્ય આયોજન તા.2-4-2022ને શનિવારના રોજથી તા.16-4-2022ને શનિવાર સુધી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી એવું કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.2-4-2022 ને શનિવારના રોજથી હનુમન્ મંત્ર એવં બીજમંત્ર અનુષ્ઠાનનો પ્રારંભ વડતાલથી પધારેલ સત્સંગ મહાસભાના પ્રમુખ સ્વામી નૌતમપ્રકાશદાસજી, કે.પી.સ્વામી, નાર ગુરૂકુળથી પધારેલા, શુકદેવસ્વામી વિગેરે સંતો દ્વારા તેમજ 10 બ્રાહ્મણો દ્વારા અદ્ભૂત રીતે યજ્ઞ અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શારીરિક, મનની શાંતિ માટે એવું કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રાજી કરવા માટે આ અનુષ્ઠાનની સેવામાં રિભક્તો જોડાયા છે.
સાથોસાથ શનિવાર નિમિતે તા.2-4-2022ના રોજ કષ્ટભંજનદેવ દાદાને મોગરો, શેવંતી, ગુલાબ વિગેરે ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવેલ મંગળા આરતી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 7 કલાકે શણગાર આરતી સ્વામી નૌતમપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવેલ. તેમજ મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય ફુલોનો શણગાર તથા મારૂતિયજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું, દાદાના શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.