ગુજરાતમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ : પારો ૪૫.૨

974

ગુજરાતભરમાં ભીષણ ગરમી પડી રહી છે. આજે અમદાવાદમાં લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા હતા. ગરમીનો પ્રકોપ અમદાવાદ સહિત રાજ્યભરમાં અકબંધ રહ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન વધીને ૪૪.૩ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. અમદાવાદ ઉપરાંત આજે રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૪થી ઉપર પહોંચ્યો હતો. જે વિસ્તારમાં પારો ૪૪થી ઉપર રહ્યો હતો તેમાં અમરેલીમાં ૪૪.૭, રાજકોટમાં ૪૪, સુરેન્દ્રનગરમાં ૪૪.૩નો સમાવેશ થાય છે. રાજ્યમાં જે વિસ્તારમાં સૌથી વધારે ગરમીનો અનુભવ થયો હતો તેમાં કંડલા એરપોર્ટનો સમાવેશ થાય છે. કંડલા એરપોર્ટમાં પારો ૪૫.૨ સુધી પહોંચ્યો હતો. હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં હિટવેવની ચેતવણી બે દિવસ માટે જારી કરવામાં આવી છે જેના પરિણામ સ્વરુપે તંત્ર સાવધાન થઇ ગયું છે. આગામી દિવસોમાં પણ ગરમીના પ્રમાણમાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવા જરૂરિયાત દેખાઈ રહી છે. બીજી બાજુ અમદાવાદમાં અને સાથે સાથે રાજ્યના અન્ય ભાગોમાં આગામી બે દિવસ દરમિયાન પારો ૪૧ થી ૪૩ વચ્ચે રહી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૧૨ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૪૮૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૧૨ જ દિવસમાં ૧૦૯ અને ટાઇફોઇડના ૧૨૧ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૨ દિવસના ગાળામાં ૧૭૫ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ૦૪ કેસો સપાટી ઉપર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હિટવેવ એક્શન પ્લાનના સંદર્ભમાં કેટલીક સૂચનાઓ પણ જારી કરવામાં આવી ચુકી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અમદાવાદમાં આજે બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં બપોરના ગાળામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે
Next articleઓટોમોટિવ કોમ્પોનન્ટ મેન્યૂફેકચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડીયાની દ્વિદિવસીય વેલ્યુ ચેઇન સમિટનો પ્રારંભ