અંતે કનુભાઈ કળસરીયા કોંગ્રેસમાં જોડાયા : રાહુલ ગાંધીએ ખેસ પહેરાવ્યો

2390

વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને આજે મોટી સફળતા મળી ગઈ હતી. કારણ કે, ભાવનગરના શક્તિશાળી નેતા ડોક્ટર કનુભાઈ કલસરિયાને પોતાની તરફ ખેંચવામાં આખરે કોંગ્રેસ પાર્ટીને સફળતા હાથ લાગી ગઈ છે. આજે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં બેઠક યોજ્યા બાદ કલસરિયાએ આ અંગેની વિધિવત જાહેરાત કરી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. ૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલા કનુભાઈ કલસરિયાને પોતાની તરફેણમાં કરવા માટે કોંગ્રેસ પાર્ટી તરફથી તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. કોઇપણ કિંમતે પાર્ટીમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા હતા. ખેડૂતોના નેતા ગણાતા કનુભાઈને મનાવવા માટે છેલ્લા ઘણા દિવસથી પ્રયાસ હાથ ધર્યા હતા. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ૨૦૧૪માં આમ આદમી પાર્ટીમાં સામેલ થઇને રાજકીય ચર્ચા જગાવનાર કનુભાઈ દ્વારા આમ આદમી પાર્ટી સાથે હાલમાં જ છેડો ફાડી લેવામાં આવ્યો હતો. કનુભાઈ પહેલાથી જ કોંગ્રેસમાં સામેલ થવા ઇચ્છુક છે. જો કે, છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. ત્યારબાદથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કનુભાઈનો સંપર્ક કરી રહ્યા હતા. આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે વાતચીત કર્યા બાદ કનુભાઈએ કોંગ્રેસમાં સામેલ થવાની જાહેરાત કરી દીધી હતી.  ભાવનગરના શક્તિશાળી નેતા તરીકે તેમની ઓળખ છે. ખેડૂતોમાં તેમની ખાસ ઓળખ બનેલી છે. આવી સ્થિતિમાં ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કોઇ મોટી સફળતા અપાવી શકશે કે કેમ તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. કનુભાઈના સંદર્ભમાં ભાજપ વતી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Previous articleરથયાત્રાને મંત્રી માંડવીયા પ્રસ્થાન કરાવશે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે