આજે લાભપાંચમ : બજારો ધમધમતી થશે

814
bhav24102017-3.jpg

દિવાળી બાદ નવા વર્ષની રજાઓ બાદ હવે આવતીકાલ લાભપાંચમથી છેલ્લા ચારેક દિવસથી બંધ રહેલી બજારો ફરીથી ધમધમતી થશે. વેપારીઓ અને દુકાનદારો તેમજ ફેક્ટરીઓમાં મુર્હુત કરી વેપાર-ધંધાની શરૂઆત કરવામાં આવશે અને ફરીથી વેપાર-ધંધા નિયમિત થશે.
દિવાળી પૂર્વે પંદરેક દિવસથી વેપારીઓ અને દુકાનદારો દ્વારા સતત વેપાર-ધંધાની ભાગદોડ બાદ નવા વર્ષથી ધંધા-રોજગારમાં મોટાભાગે રજાઓ રાખી હતી અને પાંચમથી મોટાભાગના વેપારીઓ તેમજ દુકાનદારો મુર્હુત કરી વેપાર-ધંધો શરૂ કરતા હોય છે ત્યારે આવતીકાલે મંગળવારે લાભપાંચમ હોય વેપારીઓ અને દુકાનદારો સહિત ફેક્ટરીઓ, કારખાનાઓ વેપાર-ધંધાનું મુર્હુત કરશે અને ફરીથી ધંધા-રોજગાર નિયમિત થશે. મોટાભાગે કંપનીઓના સેલ્સમેનો પણ વેપાર-ધંધાના સ્થળે વેપારીઓ પાસે મુર્હુતનો ઓર્ડર લેવા આવતા હોય છે અને લગભગ દરેક વેપારીઓ મુર્હુતમાં થોડી-ઘણી ખરીદી કરતા હોય છે. જો કે, આ વર્ષે દિવાળીમાં વર્તમાન મંદીના કારણે વેપારીઓને પ૦ ટકા જેટલો માલ પણ વેચાયો ન હોય મુર્હુતમાં ઓર્ડર કરવો કે નહીં તેવી મુંજવણ પણ થઈ રહી છે. આગામી દિવસોમાં લગ્નગાળાની સિઝન શરૂ થવાની હોય તેમાં ઘરાકી નિકળશે તેવી આશાઓ પણ વેપારીઓ સેવી રહ્યાં છે.

Previous article દિલ્હી ખાતે ભારતના ૧૦૦ વિક્રમ ધારકોને અપાશે એવોર્ડ
Next article કાર અને થ્રીવ્હીલ ટેમ્પા વચ્ચે અકસ્માત થતા યુવતીનું મોત