‘પાણીનો વેડફાટ નહીં જરૂરીયાત છે’ : નીતિન પટેલ

584

વડાપ્રધાનની મુલાકાત વખતે નર્મદા ડેમમાંથી પાણીનો વેડફાટ કરવાના અપક્ષના આરોપ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જવાબ આપ્યો છે. નીતિન પટેલે જણાવ્યું કે સરદાર સરોવર બંધ અને ગરુડેશ્વર વિયર વચ્ચે સંગ્રહ થતું અને ત્યાંની હેઠવાસમાં છોડવામાં આવતું પાણી એ વેડફાટ નથી પણ પર્યાવરણીય જરુરીયાત છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે નર્મદા નદીમાં કેવડીયાથી ભરૂચના દરિયા સુધીના વિસ્તારમાં પાણીનો પ્રવાહ યથાવત રહે, નર્મદા કાંઠે વસતા લોકોને બારે મહિના નર્મદાના મીઠા નીર ઉપલબ્ધ થાય અને દરિયો આગળ વધતો અટકે એવા તમામ પર્યાવરણીય હેતુ માટે નર્મદા બંધ અને ગરુડેશ્વર વિયરમાંથી હેઠવાસમાં પાણી છોડવામાં આવે છે. આ માટે ગરુડેશ્વર વિયરની ઉપરવાસમાં એટલે કે સરદાર સરોવર બંધ અને વિયરની વચ્ચે સંગ્રહ કરાતું પાણી એ પાણીનો વેડફાટ નથી પરંતુ પર્યાવરણીય જરુરીયાત છે. નર્મદાના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ ઓછો થયો હોવા છતાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં સમયસર નિર્ણયો લીધા છે અને ૨૮ મી ફેબ્રુઆરી સુધીમાં ખેડૂતોને રવિ સિંચાઈ માટે પાકોની જરુરીયાત મુજબ ચાર પાણ અપાશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, નર્મદા કંટ્રોલ ઓથોરિટીના નિર્દેશ મુજબ બંધની હેઠવાસમાં પર્યાવરણીય જરુરિયાત સંતોષવા સતત ૬૦૦ ક્યુસેક પાણી છોડવાનું હોય છે. જે અત્યાર સુધી પોન્ડ નં. ૩ માંથી ગોડબોલે ગેટ દ્વારા છોડવામાં આવતું હતું. જે હવે ગરુડેશ્વર વિયરમાં પણ ગેઇટ લાગી જતાં તેના મારફતે હેઠવાસમાં છોડવામાં આવે છે. આ માટે ગરુડેશ્વર વિયરની ઉપરવાસમાં પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે, જે પાણીનો બગાડ નથી. નિર્ધારીત થયેલ ૬૦૦ ક્યુસેક પાણી હેઠવાસમાં સતત છોડાઇ રહ્યું છે.

રાજ્ય સરકારના ખેડૂતલક્ષી અભિગમ વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે, સામાન્ય વર્ષે ગુજરાતને ફાળે આવતાં ૯ મિલિયન એકર ફીટ પાણીના જથ્થાની સામે ચાલુ વર્ષે નર્મદાના સ્રાવ વિસ્તારમાં વરસાદ ઓછો થતાં ગુજરાતને ફાળે ૬.૮૩ મિલિયન એકર ફીટ પાણી આવવા સંભવ છે. આમ, લગભગ ૨૫% ઓછું પાણી મળ્યું હોવા છતાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં સમયસર યોગ્ય નિર્ણયો લઈ ખરીફ ઋતુમાં ટેકાની સિંચાઇ માટે  આશરે ૧.૭૫ મિલિયન એકર ફીટ પાણી આપ્યું છે. તેમજ ચાલુ રવિ ઋતુમાં પણ સરકારે સમયસર જાહેરાત કરી તે મુજબ તા. ૧૨ નવેમ્બરથી દરરોજ ૧૮ થી ૨૦ હજાર ક્યુસેક પાણી આપવામાં આવે છે જે અત્યાર સુધીમાં ૧.૧૫ મિલિયન એકર ફીટ જેટલો જથ્થો થાય છે.

અગાઉથી જાહેરાત કર્યા મુજબ તારીખ ૨૮ ફેબ્રુઆરી સુધી રવિ સિંચાઇ માટે પાકોની જરૂરિયાત મુજબ કુલ લગભગ ચાર પાણ આપવામાં આવશે. નહેર માળખાનાં કામો હજુ બાકી હોવા અંગે જણાવતાં નીતિન પટેલે કહ્યું કે, નહેર માળખાની કૂલ અંદાજીત ૭૧,૦૦૦ કિલોમીટર લંબાઇ સામે વાસ્તવિક પરિસ્થિતિ જોતાં લગભગ ૬૮,૦૦૦ કિલોમીટર થવા સંભવ છે. આ પૈકી નવેમ્બર ૨૦૧૮ ના અંત સુધીમાં ૬૦,૧૬૯ કિલોમીટર લંબાઇનું નહેર માળખુ પૂર્ણ થયેલું છે એટલે કે ૮૮% કામો પૂર્ણ થયા છે. છેલ્લાં ચાર વર્ષોમાં આશરે ૩૪,૦૦૦ કિલોમીટર લંબાઇના કામો પૂર્ણ થયા છે. હવે બાકી રહેતા કામો મુખ્યત્વે નાની વહન ક્ષમત્તા વાળી સબ માઈનોર નહેરોનાં છે એટલે એ દિશામાં પણ સંતોષકારક કામગીરી થઈ રહી છે.

Previous articleરાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ
Next articleઆઝાદીને ૭૧ વર્ષ બાદ પણ એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી