આઝાદીને ૭૧ વર્ષ બાદ પણ એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી

617

આઝાદી મળ્યાને ૭૧ વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક એવુ ગામ છે. જ્યાંના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. અમીરગઢ તાલુકાના વિરમપુર નજીક આવેલા નાઇવાડા ગામના લોકોને હજુ આઝાદી ન મળી હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.

આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગામ લોકોને ગામ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો જ નથી. જો ગામ લોકોને ભાયલાથી નાઈવાડા પહોંચવુ હોય તો ૩ કિલોમીટરનો ડુંગરાળ વિસ્તાર ચડીને જવુ ફરજિયાત છે. અંદાજે ૭૦ પરિવાર ધરાવતા નાઈવાડામાં રસ્તા તો નથી. સાથે જ ગામમાં નથી કોઈ શાળા, કે નથી કોઈ હોસ્પિટલ કે પાણીની પણ સુવિધા પણ નથી. ત્યારે પ્રાથમિક સુવિધાની વર્ષોથી રાહ જોતા લોકો સામે તંત્ર આંખ આડા કાન કરતા લોકોએ પણ ચૂંટણી બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે. નાઈવાડા ગામમાં પહોંચવા માટે રસ્તો ન હોવાથી લોકો હેરાન થઇ રહ્યા છે. ત્યારે જો કોઈ ગામમાં બિમાર પડે તો લોકો મહા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કારણ કે, રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ પણ આવતી નથી જેના કારણે લોકોએ બિમાર વ્યક્તિને ખાટલામાં નાંખીને હોસ્પિટલ સુધી પહોંચાડવો પડે છે. ત્યારે આવી સ્થિતીમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે.

Previous article‘પાણીનો વેડફાટ નહીં જરૂરીયાત છે’ : નીતિન પટેલ
Next articleઉવારસદ ગામમાં વારાહી માતાજીનો પાટોત્સવ ઉજવાયો