નરેન્દ્ર મોદીના નિવેદનમાં વિકાસ ભૂલાયો, ભાષણનું શાસન : રાહુલ

751
guj10122017-9.jpg

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાત મુલાકાતના બીજા દિવસે પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ઉંઝા, વડનગર, વિજાપુર સહિતના સ્થળોએ જોરદાર પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે પ્રથમ તબક્કાના મતદાનને લઇ નાગરિકોના ઉત્સાહ અને મતદાનના ઝોકને રાહુલ ગાંધીએ કોંગ્રેસ તરફી ગણાવ્યો હતો અને ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસની જનતાની પોતાની સરકાર બનવા જઇ રહી છે તેવો પુનરોચ્ચાર કર્યો હતો. 
રાહુલ ગાંધીએ આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર ચાબખા વરસાવ્યા હતા. રાહુલ ગાંધીએ અત્યારસુધીમાં પૂછેલા દસ સવાલોનો જવાબ વડાપ્રધાન મોદી પાસેથી માંગ્યો હતો અને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના ભાષણોમાં વિકાસ ભૂલાઇ ગયો છે, ગુજરાતમાં માત્ર ભાષણનું જ શાસન જોવા મળી રહ્યું છે. વિકાસનો મુદ્દો ગાવા જેવો રહ્યો નથી એટલે આ વખતે મણિશંકર ઐય્યરના મુદ્દાનો મોદીજીએ સહારો લીધો એવો ગંભીર કટાક્ષ પણ રાહુલે કર્યો હતો.  રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર ટાટા નેનો મુદ્દે મોદી સરકાર પર સીધા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે મનરેગામાં રૂ.૩૫ હજાર કરોડ ફાળવ્યા હતા, જયારે મોદીજીએ તેટલી જ રકમ માત્ર એક કંપની ટાટા નેનોને ફાળવી દીધી. મોદીજીએ લોકોને રોજગારી આપવાનો વાયદો કરી પાંચ ગામોના ખેડૂતોની જમીન લઇ લીધી હતી અને ટાટા નેનો કંપનીને ફાળવી દીધી હતી પરંતુ લોકોને ના રોજગારી મળી કે નથી તો રોડ ફર નેનો ગાડી દેખાતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમારી જમીનો, પાણી અને વીજળી છીનવી લેવાય છે અને તે મોદીજીના માનીતા ઉદ્યોગપતિઓને પધરાવી દેવાય છે. કચ્છના મુંદ્રામાં એક વ્યકિતને ૪૫ હજાર એકર જમીન માત્ર એક રૂપિયા પ્રતિ ચો.મીના ભાવે પધરાવી દેવાઇ અને આ વ્યકિતએ તમારી આ જમીનો થોડા મહિનાઓ પછી રૂ.ત્રણથી પાંચ હજારમાં એચપીસીએલ સહિતની સરકારી કંપનીઓને વેચી મારી..આમ કહી રાહુલ ગાંધીએ અદાણી જૂથને નિશાના પર લઇ લીધુ હતું. રાહુલે રાફેલ હવાઇ જહાજના કોન્ટ્રાકના મુદ્દે પણ વડાપ્રધાન મોદી પર સીધા પ્રહારો કર્યા હતા કે, મોદીએ અનુભવી સરકાર કંપની સાથેનો રાફેલ હવાઇ જહાજનો કોન્ટ્રાકટ રદ કરી હજારો કરોડની ઉંચી કિંમતે તે પોતાના ખાસ ઉદ્યોગતિને આપી દીધો કે જેણે કયારેય હવાઇ જહાજ બનાવ્યા નથી. આ ઉદ્યોગપતિના માથે રૂ.૪૫ હજાર કરોડનું તો દેવું છે. રાહુલ ગાંધીએ રાફેલ હવાઇ જહાજ ડીલ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછેલા ત્રણ સવાલો આજે ફરીથી દોહરાવ્યા હતા અને તેમની પાસેથી જવાબની માંગણી કરી હતી. રાહુલે શિક્ષણ, બેરોજગારી, આરોગ્ય સેવા, ખેડૂતો અને મહિલા સુરક્ષા સહિતના મુદ્દે પણ મોદી સરકાર અને ભાજપને આડા હાથે લીધા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર એ માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે, જયારે કોંગ્રેસની સરકાર આવશે એ ગુજરાતના ગરીબોની પોતાની સરકાર હશે આમ કહી રાહુલ ગાંધીએ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજયનો ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો હતો. રાહુલે ખેડૂતોને ૧૬ કલાક વીજળી આપવાની અને તેમના દવા માફ કરવાની વાત પણ દોહરાવી ખાતરી આપી હતી. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં ખેડૂતોની કે જનતાની વાત કે વેદના કોઇ સાંભળતુ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર તેમની મનની વાત સંભળાવી જાય છે અને તેમનું ધાર્યું જ કરે છે. છેલ્લા ૨૨ વર્ષોથી ગુજરાતમાં જનતાનો-પ્રજાનો અવાજ સંભળાતો નથી પરંતુ આ વખતે ગુજરાતની જનતાને સરપ્રાઇઝ મળવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસની કે સ્થાનિક મુદ્દાઓની વાત નથી કરતા પંરતુ અફઘાનિસ્તાન, ચીન અને જમ્મુ-કાશ્મીરની વાત કરે છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઇને જણાવ્યું હતું કે, કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં પ્રજાલક્ષી અને લોકોનો કલ્યાણ  અને ખુશહાલ જીંદગીની વાત કરી વચનો આપ્યા છે. કારણ કે, કોંગ્રેસ ગુજરાતના વસતા તમામ કુંટુંબોને ખુશહાલ જોવા ઇચ્છે છે. આ માટે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરોએ લોકોના ઘેર-ઘેર જઇ, ગામડે ગામડે ફરી લોકોના, ગ્રામજનોના અને સમાજના તમામ વર્ગ-સમુદાયની ઇચ્છા, અપેક્ષાઓ, પ્રતિભાવો, અભિપ્રાયો જાણ્યા અને સમજયા બાદ આ ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે. રાહુલ ગાંધીએ નર્મદા મુદ્દે ફરી એકવાર મોદી સરકાર અને ભાજપને આડા હાથે લીધા હતા કે, છેલ્લા ૨૨ વર્ષોથી ગુજરાતમાં નર્મદાની વાતો થાય છે. શું તમને નર્મદાના પાણી મળ્યા ? જેથી ઉપસ્થિત જનમેદનીમાંથી નકારનો જવાબ ઉઠયો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને હાલમાં આક્રમક પ્રચાર કરી રહેલા રાહુલે જણાવ્યું કે, મોદીજી પાસે તેમણે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા જેવું કંઇ નથી અને તેથી પ્રજાને બીજા મુદ્દાઓ અને ભાવનાત્મક વાતોમાં ગેરમાર્ગે દોરી રહ્યા છે પરંતુ ગુજરાતની શાણી અને સમજુ પ્રજા હવે તેમને ઓળખી ગઇ છે અને મતદાન મારફતે ભાજપને જોરદાર જવાબ આપશે.આ વખતે ગુજરાતની જનતાના આશીર્વાદથી રાજયમાં લોકોની પોતાની કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે.

Previous articleકોંગ્રેસનું પાટીદારને અનામતનું વચન ગેરમાર્ગે દોરનારૂ : મોદી
Next articleમોદીની સભામાં ભીડ એકત્ર કરવા માટે એસટી બસોનું કુલ ભાડુ રૂ.૨.૩૪ કરોડ થયું