સુપ્રિમ કોર્ટ દ્વારા સમગ્ર દેશમાં જંગલમાં વસતા ૧૧.૮૦ લાખ જેટલા પરિવારોને જંગલ જમીન છોડવાના હુકમોને લઈને અન્યાય કરવા બાબતે ધરમપુર ખાતે અને મોટી સંખ્યામાં આદિવાસીઓની વિરોધ રેલી નિકળી હતી. સુપ્રિમ કોર્ટના વિરોધમાં આ રેલીમાં આશરે ૧૦ હજાર કરતા પણ વધુ આદિવાસીઓ જોડાયા હતા. મહત્વનું છે, કે હાલ સુપ્રિમના હુકમ પર સ્ટે લાવી દેવામાં આવ્યો છે. છતા આદિવાસીઓ દ્વારા પોતાના રક્ષણ અને અધિકારી માટે વટ હુકમ બહાર પાડવા માગ કરવામાં આવી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાઇને વિરોઘ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ અને આદિવાસી વચ્ચે ખેચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા. આદિવાસી સમાજના લોકોએ રસ્તા રોકી બેસી જઇને વિરોધ વ્યક્ત કર્યો હતો. મંગળવારે પણ તાપી જિલ્લામાં આદિવાસી સંગઠન દ્વારા માહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શ કર્યું. આદિવાસી એકતા અને વિકાસ આંદોલન નામની સંસ્થાએ તાપી જીલ્લાના મુખ્યમથક વ્યારા નગરમાં બંધનું એલાન આપી એક વિશાલ રેલીનું આયોજન કરી સુપ્રીમ કોર્ટ અને સરકાર વિરોધી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. તાપી જીલ્લાની આદિવાસી એકતા અને વિકાસ આંદોલન સંસ્થાના નેજા હેઠળ હજારો આદિવાસીઓ દ્વારા નીકળેલી રેલી વ્યારા નગરમાં પ્રવેશતા વેપારીઓએ પોતાની દુકાનો સ્વયંભુ બંધ કરી દીધી હતી. જ્યારે રેલી નગરમાં નીકળી અને તાપી જીલ્લા સેવા સદન ખાતે સભામાં ફેરવાઈ હતી. આદિવાસી નેતાઓએ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વિરોધમાં જલદ ભાષણો કરી ભારે જનમેદનીમાં સભાને સંબોધી હતી.
સુપ્રીમ કોર્ટમાં વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ, નેચર કંજરવેશન સોસાયટી અને કંજર પેશન ટ્રસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરેલ અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ૧૬ રાજ્યોના ૧૧ લાખ ૨૭ હજાર પરિવારોને જંગલ જમીન છોડવા આદેશ કરાયો હતો. જેને આદિવાસી એકતા અને વિકાસ આંદોલનના આગેવાનોએ ઐતિહાસિક અન્યાય ગણાવી સુપ્રીમ કોર્ટના આ આદેશને રદ કરવા તાપી કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયિક નિર્ણયની માંગ કરી હતી.