અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૦.૫ તેમજ નલિયામાં ૬.૬ ડિગ્રી તાપમાન થયું : ઠંડીના પરિણામે લોકો પરેશાન 

793
guj5-1-2018-1.jpg

રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી શીતલહેર સતત અનુભવાઈ રહી હોવાના કારણે અનેક વિસ્તારો ઠંડાગાર બનવાની સાથે ઠંડીની જનજીવન ઉપર વ્યાપક અસર જોવા મળી રહી છે.દેશના જમ્મુ-કાશ્મીર અને હિમાચલ સહિતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તરભારતના શહેરોમાં પારો ગગડયો છે આ પરિસ્થિતિમાં રાજયમાં નલિયા અને ડીસા પણ ઠંડાગાર બનવા પામ્યા છે.ઉત્તરભારતમા હિમવર્ષાના કારણે રાજસ્થાન અને ગુજરાત જેવા મેદાની પ્રદેશોમાં પણ શીતલહેરનો પ્રકોપ છેલ્લા કેટલાક 
દિવસોથી અનુભવાઈ રહ્યો છે અને રાજયભરમાં તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડા પવનો વાતા હોવાના કારણે લોકો તાપણા કે ગરમ કપડાનો આશરો લઈ રહ્યા છે.સતત પડી રહેલી ઠંડીના કારણે બાળકો,વૃધ્ધોની સાથે શ્વાસની બીમારી ધરાવતા લોકોની તકલીફોમાં પણ વધારો થવા પામ્યો છે.શરદી,ખાંસી સહિતના રોગોનો ઉપદ્રવ વધતા અનેક લોકો તબીબી સારવાર લેવા મજબૂર બનવા પામ્યા છે.રાજયના અનેક શહેરોમાં આ પરિસ્થિતિમાં તાપમાનનો પારો નીચે ઉતરતા લોકો સીમલા જેવી ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે.રાજયમાં કચ્છ જિલ્લાના નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો ૮ ડીગ્રીથી પણ નીચે ઉતરી જવા પામ્યો છે.નલિયામાં પારો ૪ ડીગ્રી સેલ્સીયસ પર પહોંચી જવા પામ્યો છે.નલિયા બાદ રાજયમાં ડીસામાં પણ લઘુત્તમ તાપમાનનો પારો ગગડયો છે.બનાસકાંઠાની સાથે સાબરકાંઠાના પણ અનેક શહેરોમાં લોકો તીવ્ર ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.બનાસકાંઠામાં રણમાંથી આવતા પવનોને લઈને ગામોમા વસવાટ કરતા લોકો ઠંડીથી ધ્રુજી રહ્યા છે.રાજયના પાડોશમાં આવેલા પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસ ૦ ડીગ્રી સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળી રહ્યુ છે.આબુમાં નકી લેક ઉપરાંત અનેક વિસ્તારોમાં બરફ જોવા મળ્યો છે.રાજયના શહેરોના તાપમાનના આંકડા પ્રમાણે નલિયામાં ૮ ડીગ્રી,ડીસામાં ૯ ડીગ્રી,રાજકોટમાં ૧૨ ડીગ્રી, ભુજમાં ૧૧ ડીગ્રી,જુનાગઢમાં ૧૧ ડીગ્રી, ગાંધીધામમાં ૧૧ ડીગ્રી, અમદાવાદમાં ૧૨ ડીગ્રી,અમરેલી ખાતે ૧૨ ડીગ્રી,રાજકોટ ખાતે ૧૨ ડીગ્રી પર તાપમાનનો પારો પહોંચવા પામતા લોકોએ ઠંડીની તીવ્રતાનો અનુભવ કર્યો છે.રાજયમાં આવનાર એકથી બે દિવસ સુધી હજુ પણ ઠંડીનો ચમકારો અનુભવાશે એમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

Previous article શિયાળબેટ ગામે તુટી ગયેલી જેટી નવી બનાવવાની માંગ
Next article ધાનાણીને વિરોધ પક્ષના નેતા ન બનાવાય તો કોંગ્રેસ સામે આંદોલન કરાશે : હાર્દિક પટેલ