કોંગ્રેસના વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી નિમાયા

774
guj712018-3.jpg

છેલ્લા કેટલાક દિવસોથી જેની ભારે આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી કે, તે ગુજરાત કોંગ્રેસપક્ષના નેતા એટલે કે, વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીની સત્તાવાર નિમણૂંક કરી હતી. પરેશ ધાનાણીની કોંગ્રેસ પક્ષના નેતા તરીકે જાહેર થતાંની સાથે જ ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવ્યો હતો.
 ધાનાણીના સમર્થકો અને ટેકેદારો દ્વારા તેમની નિયુકિતને ભારે ઉત્સાહ અને ઉજવણી સાથે વધાવી લેવામાં આવી હતી. ખાસ કરીને અમરેલી-સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના કાર્યકરો અને ધાનાણીના સમર્થકોએ ફટાકડા ફોડી તેમની નિમણૂંકને વધાવી હતી. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસપક્ષના નેતા(વિરોધ પક્ષના નેતા) તરીકે  યોગ્ય ઉમેદવારની પસંદગીને લઇ કોંગ્રેસના રાષ્ટ્રીય નીરીક્ષકોએ તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો સાથે મેરેથોન અને વન ટુ વન બેઠકો યોજી હતી અને તેમના અભિપ્રાયો-સૂચનો મેળવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે પણ આ મામલે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આજે સાંજે રાષ્ટ્રીય નીરીક્ષકો અશોક ગેહલોક અને ભંવર જિતેન્દ્રસિંહે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની  તેમના નિવાસસ્થાને ખાસ મુલાકાત લીધી હતી અને તેમને ગુજરાતમાં કોંગ્રેસપક્ષના નેતા(વિપક્ષના નેતા) મુદ્દે વિગતવાર અહેવાલ સુપ્રત કર્યો હતો. રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય નીરીક્ષકો પાસેથી અહેવાલ અને ગુજરાતની સમગ્ર પરિસ્થિતિ તેમ જ  રાજયની આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી, લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં લઇ આખરે પક્ષના યુવા નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા મંજૂરીની મ્હોર વાગી જતાં મોડી સાંજે કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર રીતે પરેશ ધાનાણીનું નામ વિપક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. વિપક્ષના નેતાનું નામ જાહેર થતાં જ ગુજરાત કોંગ્રેસમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. તો બીજીબાજુ, કોંગ્રેસના કેટલાક જૂથમાં ધાનાણીનું નામ જાહેર કરાતાં આંતરિક નારાજગી પણ પ્રવર્તી હતી કારણ કે, ધાનાણીની સાથે વિપક્ષના નેતાની રેસમાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ અને મોહનસિંહ રાઠવા પણ મેદાનમાં ઉતરી આવ્યા હતા. તેમાંના કેટલાકે તો મીડિયા સમક્ષ વિવાદીત નિવેદનો પણ આપ્યા હતા, જેને લઇને પક્ષના રાષ્ટ્રીય નીરીક્ષકોએ તેમને ઠપકો આપી વિવાદ ખાળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આંતરિક હુંસાતુંસી અને વિખવાદ વચ્ચે પણ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા આખરે પક્ષના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી પર જ પસંદગી ઉતારવામાં આવી હતી. કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પૈકીના મોટાભાગના ધારાસભ્યોએ પણ ધાનાણીના નામ પર સર્વસંમંતિ બતાવી હતી.

Previous articleસરકારે બજેટની તૈયારી શરૂ કરી
Next articleચાઈનીઝ તુકકલ તેમજ દોરી પર પ્રતિબંધ