પાટનગરવાસીઓ ૪૨.૪ ડિગ્રી ગરમીમાં અકળાયાં

674

ગાંધીનગરમાં શુક્રવારે ગરમીના પારામાં વધારો થતાં નગરજનો ત્રસ્ત થઇ ગયા હતા. એક ડીગ્રીનો વધારો થતાં તેની અસર દિવસ દરમિયાન શહેર ઉપર જોવા મળી હતી. ત્યારે હિટવેવની અસર વચ્ચે તાપમાનના પારામાં થઇ રહેલાં વધારાના પગલે પાટનગરને યલો એલર્ટ જાહેર કરાયું હતું.

રાજ્યના હરિયાળા પાટનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી બદલાતી જતી આબોહવાના કારણે ઉનાળાની મોસમમાં ગરમી પણ આક્રમક બની રહી છે. ત્યારે આ વર્ષે ચૈત્ર માસના પ્રારંભથી જ મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાનનો પારો ઊંચે જતાં પુર્ણરૂપે ગરમીની મોસમ શહેરમાં જામી હોય તેવા વાતાવરણ વચ્ચે શહેરનું તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રીની વચ્ચે નોંધાઇ રહ્યું છે.

ગુરુવારેે મહત્તમ તાપમાન ૪૧.૬ ડિગ્રીએ પહોંચ્યું હતું. જેમાં એક ડિગ્રીનો વધારો થતાં શુક્રવારે ગાંધીનગરમાં ગરમીનો પારો ૪૨.૪ ડિગ્રીએ આવીને અટક્યો હતો. આમ એક જ દિવસમાં તાપમાનના પારામાં વધારો થતાં પાટનગર વાસીઓ યલો એલર્ટમાં આવી ગયા છે.

તો બીજી તરફ ભેજના પ્રમાણમાં થઇ રહેલાં ઘટાડાના કારણે ગરમીની સાથે સાથે ઉકળાટમાં પણ વધારો થતાં નગરજનો દિવસ દરમિયાન અકળાઇ ગયા હતાં. તો હિટવેવની અસર હેઠળ વધી રહેલાં ગરમીના પારાની અસર આગામી દિવસોમાં પણ લોકોને અનુભવવા મળશે અને તાપમાનના પારામાં વધારો નોંધાશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

Previous articleહાઈપ્રોફાઈલ ગાંધીનગર બેઠક પર બે ઉમેદવાર અભણ, ચાર વકીલ અને બે ડૉક્ટર
Next article૧૭ હજાર કર્મચારીએ જિલ્લા ચૂંટણી તંત્રને પોસ્ટલ બેલેટ માટે અરજી કરી