શંકરસિંહ વાઘેલાની ભાજપમાં ઘરવાપશીની અટકળો-ચર્ચા તેજ

811
gandhi322018-6.jpg

પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ભાજપમાં ફરી ઘર વાપશી કરે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. ભાજપમાં  ઘર વાપસી કર્યા બાદ તેમને રાજયપાલ બનાવવા અથવા તેમને કે તેના પુત્ર મહેન્દ્રસિંહને રાજયસભામાં લડાવીને દિલ્હી મોકલવાનો વ્યુહ હોવાની ચર્ચા છે. ઉપરાંત  બાપુની જન વિકલ્પ પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ થાય તેવી સંભાવના છે. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં જન વિકલ્પ પાર્ટીને ઉમેદવારો મળવા મુશ્કેલ બન્યા હતાં.
માંડ માંડ ત્રણેક ઉમેદવારો રહ્યા હતાં. પરંતુ અસર જમાવી શકયા નહોતાં. ગુજરાતમાં કેશુભાઇ પટેલની સરકાર હતી ત્યારે શંકરસિંહે બળવો કરીને રાજપા પક્ષ બનાવેલ અને પોતાની સરકાર બનાવી હતી. એકથી દોઢ વર્ષમાં ફરી ચૂંટણી આવતાં રાજપાને વિખેરીને કોંગ્રેસમાં વિલીનીકરણ કરેલ. ત્યાર પછી સમયમાં બાપુએ કોંગ્રેસમાંથી વિપક્ષના નેતા તરીકે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજીનામા ધરી દીધા  હતાં. બાપુએ ટેકેદારોને લઇ જન વિકલ્પ પાર્ટીની રચના કરી હતી.
તાજેતરમાં જ આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. ત્યારે એવું જાણવા મળી રહ્યું છે, વજુભાઈ વાળા, આનંદીબેન પછી ગુજરાતમાંથી ત્રીજા કદાવર રાજનેતાને રાજ્યપાલ પદે નિયુક્ત કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ શંકરસિંહ વાઘેલાને ઓડિશા અથવા તો મહારાષ્ટ્રના રાજ્યપાલ પદે નિયુક્ત કરવામાં આવી શકે છે. ઓડિશાના રાજ્યપાલ એસ. સી. જમીરની નિવૃત્તિને હવે બે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ઓડિશા બીજુ જનતા દળ શાસિત રાજ્ય છે. તેની વિધાનસભાની ટર્મ એપ્રીલ ૨૦૧૯માં પૂરી થાય છે. જમીર કોંગ્રેસ દ્વારા નિયુક્ત થયેલા રાજ્યપાલ હતા.
આ સ્થિતિમાં ઓરિસ્સાના રાજ્યપાલ તરીકે હવે જેની નિયુક્ત થશે તે ચુંટણીના વર્ષને ધ્યાનમા રાખીને થવાની છે. વાઘેલા આ સ્થિતિમાં અત્યંત યોગ્ય પસંદગી તરીકે જોવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે કાર્યરત સી. વિદ્યાસાગર રાવનો કાર્યકાળ પુરો થવાને હજું વર્ષથી વધારે સમયની વાર છે. તેથી સૂત્રોના કહેવા મૂજબ વાઘેલાની રાજ્યપાલ તરીકેની નિયુક્ત મહારાષ્ટ્ર કરતા ઓરિસ્સામાં થાય તેવી સંભાવના વધુ છે.

Previous articleGIDCમાંથી પકડાયેલા રૂા.૬.૫૦ લાખનાં દારૂ કેસમાં વોન્ટેડ ઝડપાયો
Next articleમનપા બજેટઃ ગરીબ આવાસ, મલ્ટિલેવલ ર્પાકિંગ ખોવાયા