સેકટર-૨૬ અને ૨૭માં બે બંધ મકાનોમાં તસ્કર ટોળી ત્રાટકી

511

ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી તસ્કરોએ પગપેસારો શરૂ કર્યો છે જેના પગલે વસાહતીઓમાં ફફડાટ ફેલાયો છે. શહેરના સે-ર૬ અને ર૭માં ગઈકાલે રાત્રે તસ્કરોએ બે બંધ મકાનોના તાળાં તોડયા હતા. જો કે વસાહતીઓ જાગી જતાં તસ્કરો નાસી છુટયા હતા. સે-ર૬ના મકાનમાં તસ્કરોએ મુદ્દામાલની ચોરી કરી છે પરંતુ મકાન માલિક બહાર ગામ ગયા હોવાથી ચોરીની રકમનો અંદાજ આવી શકયો નથી. આ અંગે સે-ર૧ પોલીસને જાણ કરવામાં આવી છે.

રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં આમ તો ઘરફોડ ચોરીના બનાવોની નવાઈ રહી નથી. ગાંધીનગરમાં શિયાળાની ઋતુ દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવો વ્યાપક બનતાં હોય છે પરંતુ તસ્કરો હવે કોઈપણ સીઝનમાં દિવસે અને રાત્રે ઘરફોડ ચોરી કરવામાં સફળ થઈ રહયા છે. શહેરના એક પછી એક સેકટરો તસ્કરોના નિશાન ઉપર છે ત્યારે ગઈરાત્રે તસ્કરોએ શહેરના સે-ર૬ અને ર૭ને નિશાન બનાવ્યું હતું.

સે-ર૬માં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ તેમાંથી મુદ્દામાલની ચોરી કરી જવામાં સફળ રહયા હતા પરંતુ મકાન માલિક બહારગામ હોવાથી કેટલી મત્તા ચોરાઈ છે તે અંગે જાણી શકાયું નથી તો બીજી બાજુ સે-ર૭માં વહેલી પરોઢે તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડયું હતું પરંતુ વસાહતીઓ જાગી જતાં તસ્કરો નાસી છુટયા હતા. આ વિસ્તારમાં શરૂ થયેલી ઘરફોડ ચોરીના પગલે વસાહતીઓમાં ફફડાટ ફેલાયો છે અને રાત્રીના સમયે પોલીસ પેટ્રોલીંગ વધારવા માટે પણ માંગણી કરવામાં આવી રહી છે. નોંધવું રહેશે કે અગાઉ પણ આ સેકટરમાં કાર લઈને આવેલા તસ્કરો ત્રાટકયા હતા અને સ્થાનિકોએ પડકારતાં નાસી છુટયા હતા. હાલ તો આ આંગે સે-ર૧ પોલીસને જાણ કરવામાં આવી છે જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Previous articleઅણીના સમયે વરસાદ આવતા સુકાઇ રહેલા પાકને અમૃત મળ્યું
Next articleહવે પ્રવાસીઓ રાણકી વાવ રાત્રે ૯ વાગ્યા સુધી નિહાળી શકશે