પ્રજાએ રાજય સરકારમાં મૂકેલા જનવિશ્વાસનું પ્રતિબિંબ પાડતું જનહિતકારી બજેટ છેઃ મુખ્યમંત્રી

779
gandhi2122018-2.jpg

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ર૦૧૮-૧૯ના વર્ષના બજેટ-અંદાજપત્રને પ્રજાજનોએ સરકારમાં મૂકેલા જનવિશ્વાસનું પ્રતિબિંબ પાડતું જનહિતકારી બજેટ ગણાવ્યું છે. તેમણે નાયબ મુખ્યમંત્રી-નાણામંત્રી નીતિનભાઇ પટેલે વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા વર્ષ ર૦૧૮-૧૯ના આ બજેટને લોકકલ્યાણ સાર્વત્રિક વિકાસલક્ષી અને સામાજીક સમરસતા પ્રતિપાદિત કરનારૂં બજેટ કહ્યું છે. 
વિજયભાઇ રૂપાણીએ આ બજેટમાં કરવામાં આવેલી રૂ. ૧,૮૩,૬૬૬ કરોડની જંગી જોગવાઇઓ બધા જ વિભાગો-ક્ષેત્રોને વિકાસની નવી ઊંચાઇએ પહોચાડશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે. ખેડૂત, ગામડુ, યુવાશકિતને રોજગારી, શહેરોનો વિકાસ, પીડિત-શોષિત વર્ગોનું કલ્યાણ તેમજ અનુસૂચિત જાતિ-જનજાતિ, વરિષ્ઠ નાગરિકો, મહિલા-બાળકલ્યાણ તમામ ક્ષેત્રો માટે માતબર નાણાં જોગવાઇ કરીને હરેક વર્ગોને માટે કોઇને કોઇ ભેટ લઇને આ બજેટ આવ્યું છે. ભુતકાળમાં ૧૮ ટકા જેટલું વ્યાજ ભોગવતા ખેડૂતોની ચિંતા-કાળજી કરીને શૂન્ય ટકા વ્યાજે ધિરાણ આપવાની પહેલ આ બજેટમાં કરી છે. આ માટે રૂ. પ૦૦ કરોડ ફાળવ્યા છે. ઉપરાંત પાક વીમા માટે રૂ. ૧૧૦૦ કરોડ, ટેકાના ભાવે ખરીદી, ટ્રેકટર-આધુનિક સાધનો ઓજારો માટે રૂ. ર૩પ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કૃષિકારોને પૂરતી વીજળી, પાણી, ખાતર સહિતની પ્રાથમિક સુવિધા અને પાક રોઝ-ભૂંડ ગાડે નહિ તે માટે કાંટાળી તારની વાડ માટે રૂ. ર૦૦ કરોડના પ્રાવધાનને પણ મુખ્યમંત્રીએ આવકાર્યુ છે. 
રાજ્યની યુવાશકિતને અવસરો આપીને યુવાનો થકી નયા ગુજરાત-નયા ભારતના સપનાને સાકાર કરવા સરકાર અનેક નવી પહેલરૂપ યોજના બજેટમાં લાવ્યા છીએ. મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અન્વયે રૂ. ૧પ૦૦ થી ૩ હજારની માસિક પ્રોત્સાહક રકમ આપવા સાથે રોજગાર મેળાઓ દ્વારા ચાર લાખ યુવાઓન રોજગારી, સરકારી વિભાગોમાં ૩૦ હજાર નવી ભરતી કરવાની બાબત બજેટની મુખ્ય વિશેષતા વર્ણવી હતી. તેમણે ગ્રામીણ વિસ્તારના કુશળ-અર્ધકુશળ શ્રમિકોના વ્યવસાયોને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી ગ્રામોદય યોજના માટેના પ્રાવધાન અને યુવા સ્કીલ ડેવલપમેન્ટ માટે સ્ટાર્ટ અપ-સ્ટેન્ડ અપ, ઇન્કયુબેટર, આઇ-ક્રિએટ અને સેન્ટર ઓફ એકસલન્સની જોગવાઇને આવકારી હતી. 
વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી અમૃતમ-મા વાત્સલ્યમ યોજના અંતર્ગત લાભાર્થીની આવક મર્યાદા રૂ. બે લાખથી વધારી ૩ લાખ કરવાના, સિનિયર સિટીઝનને પણ આવરી લેવાના અને જીવલેણ-ગંભીર બિમારીની સારવારમાં નોંધારાનો આધાર બની સરકારે સારવાર મર્યાદા ૩ લાખ કરી છે તેને પણ જનહિત પ્રતિબધ્ધતા વર્ણવી હતી. 
મુખ્યમંત્રીએ આ બજેટને સર્વપોષક-સર્વસમાવેશક, લોકોપયોગી બજેટ ગણાવ્યું હતું. તેમણે નર્મદા યોજના, શહેરી વિકાસ, સ્માર્ટ સિટીઝ, સૌની યોજના, ડિઝીટલ ગુજરાત, સાયબર ક્રાઇમ પ્રિવેન્શન સહિતના તમામ ક્ષેત્રોને આવરી લેતું વિશાળ હિતકારી ગણાવ્યું છે.

Previous articleપાણીની કટોકટી, નર્મદાની જળ સપાટીમાં દર કલાકે ૧ સેમિ.નો ઘટાડો
Next articleવિધાનસભાના દ્વારેથી