શ્રાવણ માસને લઈને મનપાનાં આરોગ્ય વિભાગે શહેરનાં વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ૨૮ કિલો દાઝીયું તેલ, ૨ કિલો મકાઈનો લોટ અને ૨ કલરના ડબ્બા સહિત અનેક વસ્તુઓનો નાશ કર્યો હતો. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાના પરીક્ષણ માટે વડોદરાની સરકારી લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગની ટીમે શહેરના કિશાનપરા, રૈયા રોડ, પંચાયત ચોક, ઈન્દિરા સર્કલ અને લિમડા ચોક સહિતના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતાં. જે દરમિયાન રૈયા રોડ પર આવેલ ભગવતિ સ્વિટ અને નમકિન શોપમાંથી ૯ પેકેટ ડેટ વગરની બ્રેડ અને ૩ કિલો દાઝીયું તેલનો નાશ કર્યો હતો. તો બાલાજી ફરસાણમાંથી ૧૧ કિલો દાઝીયું તેલ, હરભોલે ડેરીમાંથી ૨ કિલો મકાઇનો લોટ, ૪ કિલો દાઝીયું તેલ, મયુર ભજીયામાંથી ૧૨ કિલો દાઝીયું તેલ અને ભગવતિ ફરસાણમાંથી કલરના ૨ ડબ્બાનો નાશ કર્યો હતો.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈ અન્વયે શ્રાવણ માસને અનુલક્ષીને ફૂડ સેફ્ટી ઓફિસરોએ અલગ અલગ જગ્યા પરથી દુધને લગતી તમામ પ્રોડક્ટના નમુના લીધા હતા. જે તમામનું પરીક્ષણ માટે વડોદરા ખાતે સરકારી લેબમાં મોકલા આવ્યા છે.