ભાવનગર મહાનગર પાલિકા ૩ સામૂહિક કેન્દ્રો મંજૂર કરાયા
વિધાનસભામાં મહુવાના ધારાસભ્ય રાઘવજીભાઈ મકવાણાએ વિધાનસભામાં ભાવનગર મહાનગર પાલિકામાં આરોગ્ય કેન્દ્રનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે ભાવનગર મહાનગર પાલીકામાં છેલ્લા બે વર્ષમાં કેટલા અને કઈ જગ્યાએ શહેરી સામુહિક કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા ? જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ત્રણ સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે કુંભારવાડા (વડવા) બીજુ રૂવારી પી. સ્કીમ વિસ્તાર તથા ત્રીજું નારીગામ ખાતે મંજુર કરવામાં આવેલ છે.
પ્રશ્નોત્તરીમાં મૌન -બહિષ્કાર દ્વારા ગૃહમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કર્યો
વિધાનસભાની શરૂઆતમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના સભ્યો કોઈપણ પ્રશ્ન નહીં પુછીને કે પ્રશ્ન મુવ નહી કરીને ફકત મૌન બેસી રહી વિરોધ પ્રદર્શન કરવાનું યોગ્ય માન્યું હતું એક કલાકની પ્રશ્નોત્તરીમાં ફકત ભાજપના સભ્યોએ જ ભાગ લીધો હતો કોંગ્રેસના સભ્યો હાજર રહી ફકત મૌન પાળી કાલના બનાવબાદ ઉભી થયેલી પરિસ્થિતીમાં પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો અને શાંતિથી પોતાની જગ્યાએ બેસી રહી મૌન વિરોધ પ્રદર્શનથી એકતરફી ગૃહની કાર્યવાહી ચાલી હતી. ઉત્તર મંત્રીઓએ આપ્યા અને પ્રશ્ન પણ ભાજપના જ સભ્યોએ પુછયા હતા.
અધ્યક્ષનો ટોણો નીતીનભાઈ કોઈ રસ્તો જ બાકી રાખ્યો નથી
પ્રશ્નોત્તરી દરમિયાન ચોર્યાસી તાલુકાના રસ્તા પૂર્ણ થઈ ગયા હોવાનું કહી ઝંખનાબેને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે અમારે ત્યાં બધા રસ્તા બની ગયા છે ત્યારે જવાબ આપે તે પહેલાં અધ્યક્ષે ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે નીતીનભાઈ કોઈ જ રસ્તો બાકી રાખ્યો નથી. ત્યારબાદ નીતીનભાઈ પટેલે તમામ રસ્તા ખુલ્લા છે અને તેનો ઉપયોગ કરતાં આવડતું નથી તેવું કહી ખુલ્લા અને સારા રોડનો ઉપયોગ કોઈ સારો કરે તો કોઈ ખોટો કરે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ચર્ચા કોંગ્રેસ જે ગૃહની કાર્યવાહીમાં ભાગ નહીં લેતા હોવાથી બોલવામાં આવ્યું હોય તેવી ચર્ચા થતી હતી.
સરકાર પોલીસ સાથે ગુલામો જેવું વર્તન કરે છે
વર્ષો જુની ઓર્ડરલી પ્રથા હજુ સુધી ચાલુ રાખીને અંગ્રેજોની ગુલામીની યાદ અપાવે છે. ઓર્ડરલી પ્રથા સરકાર નાબુદ કરી પોલીસને ગુલામીમાંથી મુકત કરે. પોલીસનું શોષણ કરવામાં આવે છે. વીઆઈપી સુરક્ષા હોય કે અન્ય જગ્યાએ પોલીસના કલાકો નકકી થતા નથી. શોષણ થાય છે. બહેનોને નોકરીમાં સમયસર મુકત કરાતા નથી તેમને પણ પોતાનું ઘર અને રસોઈનું કામ કરવાનું હોય છે દારૂમાં જ સરકારમાં રસ છે દારૂ પકડાય છે તે કયાંથી આવે છે ? સરહદો ના કેમેરા બંધ રાખવામાં એટલા માટે આવે છે કે દારૂ ઘુસાડી શકાય એતો કોલેજો બહાર પણ ભદ્ર સમાજના છોકરાઓ દારૂ પીતા થયા છે.