રાજ્યના આઠ જિલ્લાઓમાં એનડીઆરએફ ટીમ તૈનાત કરાઈ

448

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૧૪
રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ એટલે કે, એનડીઆરએફની છટ્ઠી બટાલિયન વડોદરા નજીક જરોદમાં કાર્યરત છે અને તમામ પ્રકારની કુદરતી આફતો, અકસ્માતો અને દુર્ઘટનાઓમાં જાનમાલના બચાવની અદ્યતન તાલીમ અને સાધનોથી સુસજ્જ છે. આ દળ રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે સંકલન જાળવીને આફતના પ્રસંગે બચાવ અને રાહતની અસરકારક કામગીરી કરે છે. તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાની આફતમાં એનડીઆરએફની ટીમોએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સેવાઓ આપી હતી. વડોદરા ખાતેની છઠ્ઠીથી બટાલિયનના નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું હતું કે, આગામી ચોમાસાને અનુલક્ષીને રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે ચર્ચા કર્યાં પછી દળ દ્વારા ગુજરાતના ૮ જિલ્લાઓમાં અને રાજસ્થાનના બે જિલ્લાઓમાં કુલ ૧૦ ટીમો આગોતરી તૈનાત કરવામાં આવી છે. આ પ્રત્યેક ટીમમાં ૨૫ તાલીમબદ્ધ અને બચાવ રાહતમાં કુશળ જવાનો રાખવામાં આવ્યાં છે જે વાવાઝોડું અને પૂર જેવી આફતોમાં લોકોને ઉગારવા અને ખસેડવા, સલામત સ્થળે આશ્રય આપવાની કુશળતા ધરાવે છે. ૮ ટીમો રાજ્યના સુરત, વલસાડ, નવસારી, સોમનાથ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ અને મોરબી જિલ્લાઓમાં આગોતરી મૂકી દેવામાં આવી છે. આફતો સમયે આ ટીમો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની સૂચનાઓ પ્રમાણે મુશ્કેલીવાળા વિસ્તારોમાં કામ કરશે. આ આગોતરી સાવચેતી હેઠળ કરવામાં આવેલું આયોજન છે.

Previous articleઇંગ્લેન્ડે ત્રીજી વન ડેમાં પાકને હરાવી ૩-૦થી શ્રેણી જીતી
Next articleડીસાના ભીલડી જેનાલ પાસે ઘટના ઘટી બનાસકાંઠામાં મોટી દુર્ઘટના ટળીઃ ટ્રેન પાટા પરથી ખડી પડી