રાજ્યમાં કોંગ્રેસ જાતિવાદ સાથે ચૂંટણી લડવા નિકળેલ છે : યોગી આદિત્યનાથ

788
bvn1122017-7.jpg

ચુંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ દરેક રાજકીય પક્ષો પ્રચારકને ગુજરાતમાં ઉતારી રહ્યા છે ત્યારે આજે ભાવનગર ના ભાજપના તમામ ઉમેદવારોના સમર્થનમાં ભાજપ દ્વારા યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો યોગીજીને સાંભળવા માટે આવી પહોચ્યા હતા જો કે યોગીજીની સભા દરમિયાન દલિત સમાજ અને કોળી સમાજના આગેવાનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો જેથી પોલીસ ૨૦ કરતા વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે તેમના સ્ટાર પ્રચારક એવા યુપીના સીએમ યોગી આદિત્યનાથ ની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં આજે તેમની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, સભા પૂર્વે યોગીજીની 
એક વિશાળ રેલી યોજવામાં આવી હતી જેમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા, યોગીજીએ તેમની સભામાં ગુજરાતીમાં સૌને જય સીયારામ કહીને સભાની શરૂઆત કરી હતી. તેમને સભાની શરૂઆતમાં જ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને યાદ કરી અને સભાની શરૂઆત કરી હતી.
 યોગીજી એ તેમની સભામાં જણાવ્યું હતું કે ગુજરાતના ઇલેક્શન પર આખા દેશ અને દુનિયાની નજર છે ત્યારે ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તે નક્કી છે, તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સહીત તેમના પરિવાર પર પ્રહારો કરતા જણવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં કોંગ્રેસ દ્વારા ગુંડારાજ ઉભું કર્યું હતું અને ગેંગો ઉભી કરી હતી, કોંગ્રેસ દ્વારા જાતિવાદ ઉભો કરી અને ચુંટણી લડવા માટે નીકળ્યા છે. કોંગ્રેસના સમય જે જે ગીતમાં સાબરમતીના સંતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે સાબરમતી નદીને કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસના ભ્રષ્ટાચાર ના કારણે સુકાઈ ગઈ હતી.
 ઉત્તરપ્રદેશ અંગે તેમને જણવ્યું હતું કે ઉત્તરપ્રદેશ એટલા માટે પછાત હતું કે ઉત્તર પ્રદેશમાં જાતિવાદ અને પરિવારવાદ વકરેલો હતો, વધુમાં યોગીજીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અમેરિકામાં જઈને તેમના રાજદૂતો ને જણાવે છે કે મને ભારતના હિંદુઓ થી ખતરો છે ત્યારે બીજી બાજુ તેઓ આતંકવાદને સમર્થન આપતા હોય તેમ લાગી રહ્યું છે.જ્યારે તેમની સરકાર હતી ત્યારે તેઓ રામ અને કૃષ્ણ આસ્તીત્વને માનતા જ ન હતા પરંતુ અત્યારે તેઓ મંદિરોમાં દર્શને જઈ રહ્યા છે. તેઓને મંદિરમાં જઈને શું કરવું તે પણ ખબર નથી અને જાતિવાદની રાજનીતિ કરી રહ્યા છે.
 જો કે યોગી આદિત્યનાથ ની સભા દરમિયાન ભાવનગર ના દલિત સમાજના આગેવાનો અને કોળી સમાજના આગેવાનો દ્વારા સુત્રોચ્ચાર કરીને સભાસ્થળની બહાર યોગીનો વિરોધ કરવામાં આવ્યો હતો. દલિત સમાજ દ્વારા સાબુ લઈને યોગીની વિરોધ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે યોગીની ભાવનગરમાં નહિ પરંતુ યુપીમાં જરૂર છે.જો કે વિરોધ પ્રદર્શિત કરવા આવેલ લગભગ ૨૦ કરતા વધુ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવાંમાં આવી હતી.

Previous articleભાવનગરમાં યોગીજીનો દલિતો દ્વારા વિરોધ
Next articleગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોના દેવામાફીનો ૧૦ દિવસમાં નિર્ણય કરશે : રાહુલ ગાંધી