ભારતમાં લીવર સંબંધિત બિમારીઓનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. એક અહેવાલ મૂજબ દેશમાં દર વર્ષે આશરે ૧૦ લાખ નવા દર્દીઓ લીવર સિરોસિસથી પીડાતા હોવાનું નિદાન થાય છે. લીવર સિરોસિસ એવી સ્થિતિ છે કે જેમાં લીવરને ગંભીર નુકશાનના સંજોગોમાં સ્કાર ટિશ્યુ પેદા થાય છે અને તે તંદુરસ્ત લીવર ટિશ્યુનું સ્થાન લે છે. જોકે, સમયસર નિદાન થાય તો અંતિમ તબક્કામાં પણ લીવર ટ્રાન્સપ્લાન્ટની મદદથી દર્દીને બચાવી શકાય છે અને તેનો સફળતા દર ૯૫ ટકાથી પણ વધુ છે.
આ રોગ થવાના પ્રાથમિક કારણો દારૂનું વધુ પડતું સેવાન અને નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસિઝ (એનએએફએલડી) છે. અમદાવાદ સ્થિત નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના આંકડા મૂજબ મેદસ્વીતા અને ટાઇપ ૨ ડાયાબિટિસની સમસ્યા ધરાવતા દર્દીઓને એનએએફએલડીનું જોખમ વધુ હોય છે. ઘણાં કિસ્સામાં લીવર ઉપર સોજો આવે છે અને પુખ્તવયના લોકો લીવર સિસોરિસનો ભોગ બને છે.
નારાયણા હેલ્થ સિટી બેંગ્લોર ખાતે લીવર ટ્રાન્સપ્લાન્ટ અને એચપીબી સર્જરી માટેના ચીફ કન્સલ્ટન્ટ ડો. રાજીવ સિન્હાના કહેવા અનુસાર, આજના સમયમાં લીવર સંબંધિત રોગોનું મુખ્ય કારણ અયોગ્ય જીવનશૈલી છે. પ્રાથમિક કારણો આલ્કોહોલનું સેવન, ફેટી લીવર ડિસિઝ અને ડાયાબિટીસ છે. મેદસ્વીતા અને સક્રિયજીવન શૈલીને અભાવે યુવાનોમાં આ સમસ્યા વધી રહી છે. જોકે, લીવર સંબંધિત મોટાભાગની બિમારીઓને અટકાવી શકાય છે અને સમયસર તબીબી સારવારથી દર્દીને બચાવી શકાય છે. છેલ્લાં સ્ટેજમાં પહોંચેલી લીવરની બિમારીમાં ટ્રાન્સપ્લાન્ટ દ્વારા દર્દીને બચાવી શકાય છે. યોગ્ય સમયે કરાયેલા લીવર ટ્રાન્સપ્લાન્ટમાં સફળતાની ટકાવારી ૯૫ ટકાથી વધુ છે અને પરિણામે દર્દીને સામાન્ય જીવન વિતાવવામાં મદદ મળી રહે છે.
ઘણીવાર દર્દીમાં લીવર સંબંધિત બિમારના ચિન્હો જોવા મળતા નથી અને લીવર કામ કરતું બંધ થઇ જાય ત્યારે જ દર્દીને જાણ થાય છે. જોકે, કમળો, પેટમાં પાણી ભરાઇ જવું અને લોહીની ઉલટી વગેરે તેના લક્ષણો હોઇ શકે છે. ડો. સિન્હા કે જેમણે ૫૦૦થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી છે તેમણે જણાવ્યું હતું કે ૪૦ વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિએ નિયમિત આરોગ્યની તપાસ કરાવવી જોઇએ. આજે એડવાન્સ સ્ટેજમાં પહોંચેલા લીવર કેન્સર માટે પણ સારવારના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ લોકોને જાગૃત કરવા જરૂરી છે.
નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે અમદાવાદ ખાતે લીવર સંબંધિત સમસ્યાઓ અને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે વધુ માર્ગદર્શન આપવા માટે ઓપીડીનો પ્રારંભ કર્યો છે. ડો. સિન્હા મહિનામાં એકવાર નવી સુવિધાની મુલાકાત લેશે અને અમદાવાદના દર્દીઓ માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરશે.