ગુજરાતમાં ગરમીનો કેર અકબંધ : પારો ૪૭

788

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો કાળો કેર જારી રહ્યો છે. આજે પણ આગઝરતી ગરમીના કારણે લોકો ભારે મુશ્કેલીમાં દેખાયા હતા. જો કે, આજે રવિવાર હોવાથી રજાનો માહોલ રહેતા બિનજરૂરીરીતે લોકો ઘરની બહાર નિકળ્યા ન હતા. એસી અને પંખાનો ઉપયોગ દિવસભર કરવામાં આવ્યો હતો. કંડલા એરપોર્ટ ખાતે પારો ૪૭ સુધી પહોંચી ગયો હતો જેથી હાહાકાર મચી ગયો હતો. રાજ્યના અનેક ભાગોમાં પારો આજે સતત ૪૪થી ઉપર રહ્યો હતો જેમાં અમરેલીમાં ૪૪.૬, વડોદરામાં ૪૪.૪, રાજકોટમાં ૪૪, સુરેન્દ્રનગરમાં ૪૪.૭ સુધી પારો પહોંચ્યો હતો જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૪૩થી ઉપર રહ્યો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩.૭ સુધી પહોંચી ગયું હતું. અમદાવાર આવતીકાલે પારો ૪૪ રહેવાની આગાહી કરવામાં આવી છે. તીવ્ર હિટવેવની સ્થિતિ દક્ષિણ ગુજરાતના વલસાડ અને અન્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, વેરાવળ, દિવ, ભાવનગર, કચ્છમાં પણ લોકોની હાલત કફોડી બની ગઈ છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ લોકો તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અહીં પારો ૪૩.૬ સુધી પહોંચ્યો છે. ગરમીનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચી જતાં પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા ૧૦૮માં આવતા કોલની સંખ્યામાં ૩૦ ટકા જેટલો વધારો થયો છે. લોકોને બહાર નિકળવા માટેની સલાહ પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. આજે રાજ્યના જે ભાગોમાં પારો ૪૫થી પણ ઉપર પહોંચ્યો હતો. હવામાન વિભાગની આગાહી બાદ લોકો વધુ સાવચેત બની ગયા છે. શહેરમાં જુદી જુદી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે લોકોએકામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. અમદાવાદ શહેર માટે રેડ એલર્ટની જાહેરાત બે દિવસ માટે અકબંધ રાખવામાં આવી છે.

આજે અમદાવાદ શહેરમાં પણ લોકોની હાલત કફોડી બની ગઈ હતી. અમદાવાદમાં એપ્રિલ માસમાં આટલી ગરમી સૌપ્રથમવાર નોંધાઇ હોઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે. સાથે સાથે ગરમીને લઇ અમ્યુકો દ્વારા ખાસ એકશન પ્લાનની પણ જાહેરાત કરવામાં આવી છે. બીજીબાજુ, હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ સુધી  અમદાવાદ  શહેર સહિત સમગ્ર ગુજરાત રાજયમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. બીજીબાજુ, કાળઝાળ અને બળબળતી ગરમીને લઇ નાગરિકોના આરોગ્ય પર પણ સીધી અસરો પડી રહી છે. ગરમીના કારણે ઈમરજન્સી કેસોમાં પણ વધારો નોંધાયો છે.

Previous articleરાજ્યમાં કાળઝાળ ગરમી : ૮ સ્થળ પર લાગી ભીષણ આગ
Next articleહવાઈ હુમલા બાદ રાહુલ-લાલૂના આવાસો પર માતમની સ્થિતિ હતી