પોલીયો મુકત ભારત અભિયાન અંતર્ગત આજે પોલીયો રવિવાર નિમિત્તે સમગ્ર દેશની સાથો સાથ ભાવનગર શહેરમાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન યોજાયેલ જેમાં શહેરના તમામ વોર્ડ મળી કુલ ૪૩૭ બુથ ઉપર પાંચ વર્ષ સુધીના બાળકોને પોલીયો વિરોધી રસીના બે ટીપા પીવડાવાયા હતાં. હવે આવતીકાલ સોમવારથી ત્રણ દિવસ સુધી અલગ-અલગ ટીમો ડોર-ટુ ડોર જઈને બાકી રહેલા બાળકોને પોલીયોના ટીપા આપી રક્ષીત કરાશે.
પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આજે ભાવનગર શહેરના તમામ ૧૩ વોર્ડમાં પાંચ વર્ષ સુધીના ૧.૧૬ લાખ બાળકોને પોલીયો વિરોધી રસીથી રક્ષીત કરવા આજે ૪૩૭ બુથ કાર્યરત કરાયા હતાં. જેમાં મેયર નિમુબેન બાંભણીયા, ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા, ડે.મેયર મનભા મોરી, આરોગ્ય સમિતિના ચેરપર્સન કિર્તિબેન દાણીધરીયા, કમિશ્નર મનોજ કોઠારી સહિત અધિકારી, પદાધિકારીઓના હસ્તે બાળકોને પોલીયો રસીના ટીપા પીવડાવાયા હતાં.
ભાવનગર શહેરમાં તમામ આંગણવાડી કેન્દ્રો, હેલ્થ સેન્ટરો, સર.ટી. હોસ્પિટલ, આનંદ વાટીકા, રેડક્રોસ, અપંગ પરિવાર કેન્દ્ર, બજરંગદાસ હોસ્પિ. રામમંત્ર મંદિર હોસ્પિ. પીએનઆર હોસ્પિ., રેલ્વે હોસ્પિ., વીટકોસ બસ સ્ટેન્ડ, આઈસીડીએસ સહિતના સ્થળોએ બુથ પર બાળકોને પોલીયોના ટીપા પીવડાવાયા હતાં. પોલીયો રસીકરણ અંતર્ગત ૩૦ ટ્રાન્સીસ ટીમ, ૩૪ મોબાઈલ ટીમ, ૪૩૭ બુથ અને ૧૬૯ર સુપર વાઈઝર સહિતે કામગીરી કરેલ. આવતીકાલ સોમવારથી ૩ દિવસ માટે ડોર-ટુ-ડોર બાકી રહેલા બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે.