સરકાર પાંચમીથી એક લાખ ટન મગફળી ખરીદશે : મુખ્ય સચિવ

680
guj432018-6.jpg

કિસાનોના હિતને વરેલી રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કરીને ખરીદી શરૂ કરી હતી. પરંતુ રાજ્યમાં થયેલ મબલખ ઉત્પાદનના કારણે આ ખરીદી વધારવા માટે રજૂઆતો થતાં કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી તે સંદર્ભે વધારાની ૧ લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદવા મંજૂરી આપી છે. જે ખરીદી આગામી તા. પાંચમી માર્ચથી ૯મી માર્ચ દરમ્યાન કરાશે. 
આજે ગાંધીનગર ખાતેથી મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંઘે રાજ્યના તમામ કલેકટર સાથે આ સંદર્ભે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી પરામર્શ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. વધારાની એક લાખ મેટ્રીક ટન મગફળી ખરીદવા માટે ૩૬,૪૮૦ ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યું છે. આ માટે રર જિલ્લામાં ૧૧૦ ખરીદ કેન્દ્રો શરૂ કરાશે. રાજ્ય સરકાર દ્વારા નાફેડના સહયોગથી બનાસડેરી, ગુજકોટ, ગુજકોમાસોલ, ગુજપ્રો અને સાબરડેરી દ્વારા આ ખરીદી થશે. ખેડૂતોને આ ખરીદી દરમ્યાન કોઇપણ તકલીફ ન પડે તે માટે ગોડાઉન પર વિડીયોગ્રાફી તેમજ સી.સી.ટી.વી.ની વ્યવસ્થા કરાશે. ઉપરાંત ખરીદી થનાર મગફળીની ગુણવત્તા તેમજ તમામ વ્યવસ્થાઓ માટેનું સુપરવીઝન કરવા પણ મુખ્ય સચિવશ્રીએ સંબંધિતોને સૂચનાઓ આપી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે અત્યાર સુધી ખેડૂતો પાસેથી ૯ લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરી છે.  રાજ્યમાં તુવેરનું પણ ઉત્પાદન વધુ થયું હોઇ તુવરને પણ ટેકાના ભાવે ખરીદવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તે માટે પણ પાંચમી માર્ચથી ૧રમી માર્ચ દરમ્યાન રજીસ્ટ્રેશન કરાશે અને ૧રમી માર્ચથી ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા જાણ કરાશે અને ૪૦ ખરીદ કેન્દ્રો પરથી આ ખરીદી થશે. 

Previous articleફરજ પર પોલીસ કર્મીએ ડ્રેસમાં રહેવા પોલીસ વડાની સૂચના
Next articleશસ્ત્ર મુકીને શાસ્ત્રની લગામ પકડતો પ્રત્યેક માનવી પૂજનીય છે : મુખ્ય મંત્રી