રાજ્યમાં બે કરોડથી વધુ લોકો ગરીબી રેખા નીચે

871
guj2432018-10.jpg

સમૃદ્ધ, ગતિશીલ, વિકાસશીલ ગુજરાતના દાવા વચ્ચે રાજ્યમાં ૩૧ લાખ કરતા વધારે પરીવારો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ આંકડા રજૂ કર્યા હતા.
વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં ૩૧,૪૬,૪૧૩ પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. હવે જો એક પરિવારમાં પાંચ સભ્યો હોય એવો અંદાજ લગાવીને ગણતરી કરવામાં આવે તો રાજ્યમાં અંદાજે ૧,૫૭,૩૨,૦૬૫ લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે તેવું કહી શકાય. આ આંકડાઓ પરથી એવું સાબિત થાય છે કે સમૃદ્ધ ગુજરાતની ચોથા ભાગની વસતી ગરીબી રેખા નીચે જીવી રહી છે!
સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે એટલે કે ૨,૩૬,૪૯૨ ગરીબ પરીવાર રહે છે. બીજા નંબરે દાહોદ જિલ્લો આવે છે. દાહોદમાં ૨,૨૫,૨૯૧ પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. ત્રીજા નંબરે ખેડા જિલ્લામાં ૧,૫૬,૪૩૬ પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.છેલ્લા બે વર્ષના આંકડાઓ પર નજર કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં સૌથી વધારે ૪,૨૪૮ ગરીબ પરિવારમાં વધારો થયો છે.  જ્યારે નવસારીમાં ૪૧૨૦ પરિવારનો વધારો થયો હતો. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં કુલ ૧૮,૯૯૨નો વધારો થયો છે.
 અંદાજ પ્રમાણે રાજ્યમાં દૈનિક ગરીબી રેખા નીચે જીવતા ૨૬ પરિવારનો વધારો થાય છે.

Previous article ડિસા ખાતે ભારતીય એરફોર્સનું ફાઈટર બેઈઝ બનશે
Next article મહાપાલિકાનું પ૯.૧ર કરોડ પુરાંતવાળુ બજેટ મંજુર