કોંગી અસંતુષ્ટોનો ઉગ્ર આક્રોશ : કોંગ્રેસ કાર્યાલય પર મોડીરાત્રે તોડફોડ કરી શહેર પ્રમુખનો ઘેરાવ કર્યો

631
bvn21112017-3.jpg

વિધાનસભાની ચૂંટણી-ર૦૧૭ને લઈને ભાજપ તથા કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરાતા બન્ને પક્ષોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ કોંગ્રેસના કાર્યકરો દ્વારા પોતાના લોકલાડીલા ઉમેદવારને ટિકીટ ન મળતા સરાજાહેર પોતાનો આક્રોશ જાહેર કરી રહ્યાં છે.
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પક્ષમાં નિષ્ઠાપૂર્ણ રીતે પક્ષ માટે કામગીરી કરનાર ગ્રામ્ય પંથકના લાલભા ગોહિલને યુવા કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. જેના સમર્થકોની સંખ્યા પણ વધુ હોય તેમણે ટિકીટની માંગ કરી હતી અને જો શક્તિસિંહ ગોહિલ તે બેઠક પરથી ચૂંટણી લડે તો તેમને માન આપી તેમના સમર્થનમાં ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત પણ કરી હતી. કોંગ્રેસે સત્તાવાર યાદી પ્રસિધ્ધ કરતા જેમાં લાલભા ગોહિલને ટિકીટ ન આપતા લાલભાના સમર્થકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને રવિવારે રાત્રે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા અને ઉગ્ર દેખાવો સાથે કાર્યાલયમાં તોડફોડ કરી બેનરો ફાડયા હતા. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી દોડી આવતા કાર્યકરો અને પ્રમુખ વચ્ચે શાબ્દીક ટપાટપી થવા પામી હતી. આ અંગે લાલભા ગોહિલે જણાવ્યું હતું કે મારા સમર્થકોની માંગણી અને માંગણી સામે હું લાચાર છું મે તમામને શાંતિ જાળવવા અપીલ કરી છે. 

Previous articleમહુવામાં ગટર ઉભરાતા કાર્યકરો પાણીમાં ચાલીને ફોર્મ ભરવા ગયા : રાહદારીઓ પરેશાન
Next articleમાંડવાળી ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો